Loading Please Wait !!!
જામનગરમાં વિશ્વની પ્રથમ 'વનતારા યુનિવર્સિટી': અનંત અંબાણીનું વિઝન, વન્યજીવ સંરક્ષણ માટે બનશે ગ્લોબલ હબ!

  • પ્રાણીચિકિત્સા અને સંરક્ષણ વિજ્ઞાનને સમર્પિત વિશ્વની પ્રથમ સંકલિત યુનિવર્સિટી – નાલંદાના આદર્શો પર થશે નિર્માણ
  • ભારતભરની પવિત્ર માટી અને જળથી વિધિવત સ્થાપન – કરુણા, વિજ્ઞાન અને સંરક્ષણનો અનોખો સંગમ
  • અન્ડરગ્રેજ્યુએટથી લઈને ફેલોશિપ સુધીના કોર્સ – જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે 'એવરી લાઈફ મેટર્સ' શિષ્યવૃત્તિની જાહેરાત

ગુજરાતનું જામનગર હવે માત્ર ઉદ્યોગ નગરી જ નહીં, પણ વન્યજીવ સંરક્ષણ અને શિક્ષણનું પણ વૈશ્વિક હબ બનવા જઈ રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા જામનગરમાં વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ 'વનતારા યુનિવર્સિટી'ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. આ યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલી અને પશુચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં ભવિષ્યના નિષ્ણાતો તૈયાર કરશે.

શિલાન્યાસ સમારોહ દરમિયાન અનંત અંબાણીએ ભાવુક સંદેશ આપતા જણાવ્યું હતું કે, વન્યજીવોના રક્ષણ માટે માત્ર પ્રશંસા પૂરતી નથી, પણ જ્ઞાન અને પ્રશિક્ષિત હાથોની જરૂર છે. આ યુનિવર્સિટી નાલંદાના ભવ્ય વારસાને જીવંત કરશે. શિલાન્યાસ માટે ભારતભરના જંગલો, વેટલેન્ડ્સ અને હિમાલય સહિતના પ્રદેશોમાંથી માટી અને જળ લાવવામાં આવ્યું હતું, જે ભારતની ઇકોલોજીકલ સમૃદ્ધિનું પ્રતીક છે.

આ યુનિવર્સિટી માત્ર એક શૈક્ષણિક સંસ્થા નહીં પણ એક ઇકોસિસ્ટમ તરીકે કાર્ય કરશે, જ્યાં વાસ્તવિક સંરક્ષણના અનુભવોને શિક્ષણ સાથે જોડવામાં આવશે. અહીં ભણતા વિદ્યાર્થીઓને વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ અને અદ્યતન ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સીધો લાભ મળશે. 'એવરી લાઇફ મેટર્સ' જેવી શિષ્યવૃત્તિ દ્વારા આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ વન્યજીવ સેવાની આ યાત્રામાં જોડવામાં આવશે.

રાજકોટ અને જામનગર સહિત સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે, કારણ કે આ પહેલથી ભારત વન્યજીવ આરોગ્ય સંભાળ અને સંરક્ષણ વિજ્ઞાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્કૃષ્ટ કેન્દ્ર તરીકે ઉભરી આવશે. આ યુનિવર્સિટી વ્યાવસાયિકોને ઇકોસિસ્ટમની સુખાકારીમાં આવતા જટિલ પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બનાવશે.