ડૉ. હર્ષ આપઘાત કેસ: તપાસ રિપોર્ટ VNSGU ને સોંપાયો
-
કમિટીનો રિપોર્ટ સોંપાતા જ ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ રજા પર
-
કોંગ્રેસ નેતા શૈલેષ પાઠકે આરોગ્ય મંત્રીને લખ્યો કડક પત્ર
-
ડીન, HOD અને હોસ્ટેલ સુપ્રિટેન્ડન્ટ સામે ગુનો નોંધવા માંગ
સિટી ન્યુઝ @ સુરત
સુરતની સિવિલ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એક અત્યંત મહત્વનો વળાંક આવ્યો છે. હોસ્પિટલ અને કોલેજ તંત્રમાં ભારે ખળભળાટ મચેલો છે, ત્યારે જ સિવિલ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ અચાનક રજા પર ઉતરી જતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. ડોક્ટર હર્ષના આપઘાતમાં રેગિંગના આરોપોને પગલે સમગ્ર સિવિલ કેમ્પસમાં ભારે રોષ અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
12 ઓગસ્ટે સાંજે એન્ટી રેગિંગ કમિટીએ તૈયાર કરેલો વિસ્તૃત તપાસ રિપોર્ટ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ને સત્તાવાર રીતે સુપ્રત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ સોંપ્યાના તુરંત બાદ જ ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટે રજા પર જવાનો નિર્ણય લીધો હતો. કમિટીના આ રિપોર્ટમાં રેગિંગ તેમજ માનસિક ત્રાસને લગતા કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા હોવાની પ્રબળ સંભાવનાઓ છે, જેના કારણે જવાબદાર તબીબો અને તંત્ર પર કાયદાકીય સકંજો કસાય તેવી શક્યતા છે.
બીજી તરફ સામાજિક કાર્યકર્તા અને ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પાઠકે ગાંધીનગરના આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મેડિકલ કોલેજમાં રેગિંગ અને સમયસર થયેલી રજૂઆત પર ધ્યાન ન આપવાના કારણે યુવા ડોક્ટરે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમણે ગંભીર ફરજચૂક અને દુષ્પ્રેરણા બદલ કોલેજના ડીન, માઇક્રોબાયોલોજી વિભાગના HOD અને હોસ્ટેલ સુપ્રિટેન્ડન્ટ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માંગ કરી છે.
આ સમગ્ર ઘટનાક્રમથી સુરત સિવિલ મેડિકલ કોલેજ તંત્રની ભારે બેદરકારી અને આંતરિક બેદરકારી ખુલ્લી પડી ગઈ હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. સીનિયરો દ્વારા કરવામાં આવતા રેગિંગ અને માનસિક ઉત્પીડન અંગે અગાઉથી જાણ હોવા છતાં કોઈ યોગ્ય પગલાં ન લેવાયા હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. સાથે જ CCTV ફૂટેજ સહિતના તમામ પાસાઓની યોગ્ય તપાસની પણ અપીલ કરાઈ છે.
એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ બાદ હવે દોષિતો સામે શું પગલાં લેવાય છે અને સિવિલ તંત્રની આ મોટી બેદરકારી સામે ઉચ્ચ સ્તરેથી કેવી કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર ટકેલી છે. આ ઘટનાએ સમગ્ર મેડિકલ આલમમાં સુરક્ષા અને રેગિંગ વિરોધી કાયદાના કડક અમલીકરણ સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.
ડોક્ટર હર્ષ આપઘાત કેસમાં તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ
સુરત સિવિલના ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGU ને સોંપાયા બાદ ડીન અચાનક રજા પર ઉતરી ગયા છે. કોંગ્રેસ મહામંત્રી શૈલેષ પાઠકે આરોગ્ય મંત્રીને પત્ર લખી ડીન, HOD અને સુપ્રિટેન્ડન્ટ સામે ગંભીર બેદરકારી બદલ ગુનો નોંધી ધરપકડ કરવાની માંગ કરી છે. કેસની નિષ્પક્ષ તપાસ માટે સીસીટીવી ફૂટેજ ચકાસવા અપીલ કરાઈ છે.