Loading Please Wait !!!
ઈન્સ્ટાગ્રામનો `રાજા મેલડી' નીકળ્યો નકલી `ભૂવો'

  • આસ્થા પર ઠગાઈનો ખેલ: `રાજા મેલડી' બની લોકોને લૂંટતો ભૂવો પકડાયો
  • વિજ્ઞાન જાથાની કાર્યવાહી: માતાજીનો ડર બતાવી દારૂ-મોંઘી વસ્તુઓ વસૂલતો રાજા મેલડી બેનકાબ
  • સંતાન પ્રાપ્તિ અને રોગ મટાડવાના નામે લાખો રૂપિયા તેમજ AC, 
  • ફ્રીજ જેવી કિંમતી વસ્તુઓ પડાવનાર ઘનશ્યામ ભૂવા સામે લોકોમાં રોષ

સિટી ન્યૂઝ@વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા સ્ટેશન વિસ્તારમાં માતાજીના નામે ભોળી જનતાને લૂંટતા એક પાખંડી ભૂવાનો વિજ્ઞાન જાથા(અંધશ્રદ્ધા અને કુરિવાજોનો પર્દાફાશ કરતી NGO સંસ્થા)એ પર્દાફાશ કર્યો છે. સંતાન પ્રાપ્તિ અને રોગ મટાડવાના નામે લાખો રૂપિયા તેમજ AC, ફ્રિજ જેવી કિંમતી વસ્તુઓ પડાવનાર ઘનશ્યામ ભૂવા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત મુજબ આ ભૂવો છેલ્લા ઘણા સમયથી અંધશ્રદ્ધાનો ખેલ ખેલતો હતો.

જોકે, આજરોજ વિજ્ઞાન જાથાએ ઘટનાસ્થળે જઈ ભુવાના આ અંધશ્રદ્ધાના ખેલનો પર્દાફાશ કરતા પહેલા ફરાર થયો અને હાલ પોલીસ સામે હાજર થઈ માફી માગી.આ ઢોંગી ભૂવો ધૂણતા ધૂણતા એવો દાવો કરતો હતો કે, "એવો સમય આવશે કે બેંક લૂંટાઈ જશે પણ ચોર પકડાય નહીં એવું હું મેલડી બોલું છું". સાતમો અને આઠમો મહિનો આવતા પૂર લાવવાની ધમકી આપી તે લોકોને ડરાવતો હતો.જોકે, વિજ્ઞાન જાથાની ટીમે પાદરા પોલીસને સાથે રાખીને જ્યારે દરોડો પાડ્યો ત્યારે પોતાની જ 'ચમત્કારિક' શક્તિઓ કામ ન આવી અને તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું કે, આ પાખંડી 25 પ્રકારના અસાધ્ય રોગ મટાડવાના દાવા કરી 1.51 લાખ સુધીની ફી વસૂલતો હતો.

વધુમાં ઉમેર્યું કે, તેઓએ અત્યાર સુધીમાં ભારતભરમાં 2800થી વધુ આવા પાખંડીઓનો પર્દાફાશ કર્યો છે અને તેમાંથી એક પણ સાચો નીકળ્યો નથી. આવા લોકો માનસિક બીમાર અથવા સંપૂર્ણ પાખંડી હોય છે જેઓ લોકોના ડરનો ફાયદો ઉઠાવે છે. વિજ્ઞાન જાથાએ લોકોને અપીલ કરી છે કે કોઈપણ ધર્મના આવા પાખંડીઓ સામે હિંમત રાખીને ફરિયાદ કરવા આગળ આવે જેથી સમાજને આવા ધુતારાઓથી બચાવી શકાય.અંધશ્રદ્ધાનો ભોગ બનેલા અનેક લોકો હવે સામે આવી રહ્યા છે. એક પીડિતે જણાવ્યું કે, તેને સંતાન પ્રાપ્તિની લાલચ આપી વિધિના નામે 51,000 રૂપિયા પડાવ્યા હતા. અન્ય એક શ્રદ્ધાળુએ આપવીતી જણાવતા કહ્યું કે, તેની પાસેથી એસી (AC), ચાંદીની બુટ્ટી અને અંદાજે 3 લાખ રૂપિયા પચાવી પાડવામાં આવ્યા છે.ઈન્સ્ટાગ્રામ પર "રાજા મેલડીના" નામથી વીડિયો વાયરલ કરી તે શ્રદ્ધાળુઓને આકર્ષતો અને બાદમાં માતાજીનો ડર બતાવી તેમની પાસેથી વાહન અને ઘરના સાધનો વસાવતો હતો.

પરેશભાઈ નામના એક પીડિતે જણાવ્યું કે, તેઓ દોઢ વર્ષથી આસ્થા સાથે અહીં આવતા હતા અને ભૂવાને પોતાની ગાડીમાં ફેરવતા હતા. જ્યારે તેમને છેતરપિંડીની ખબર પડી અને બબાલ થઈ ત્યારે ભૂવાના દીકરાએ જ તેમની ગાડી તોડી નાખી હતી. ફક્ત એટલું જ નહીં, ભૂવાએ પરેશભાઈની પત્ની વિશે ગંદી અફવાઓ ફેલાવી અને ચારિત્ર્યહનન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પીડિતે રોષ વ્યક્ત કર્યો કે, જો આ ભૂવો સાચો હોત તો તે ભાગી ન ગયો હોત.