પોરબંદરની ઘટના : સગાઈ તોડી નાંખતા પરિણીતાની હત્યા
=> મંગેતર સહિત 3 સામે ગૂન્હો
સિટી ન્યૂઝ@પોરબંદર
પોરબંદરમાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સગાઈ તોડવાની વાતનું મનદુખ રાખીને એક યુવતી અને તેના માતા-પિતાએ યુવકના ઘરે જઈ ઉગ્ર ઝઘડો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલી પરિણીતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.કમલાબાગ પોલીસે આ મામલે મંગેતર યુવતી સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી હીત પોપટ અને આરોપી સુહાસી રાયચુરાની આશરે એક વર્ષ અગાઉ સગાઈ થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. રોજિંદા કલેશથી કંટાળીને હીતે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો.આ વાતથી સુહાસી રાયચુરા, તેના પિતા જગદીશ રાયચુરા અને માતા શિલ્પાબેન રાયચુરા નારાજ થયા હતા.
આરોપીઓ હીત પોપટના ઘરે પહોંચી ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન વૃંદાબેન નામની પરિણીતા વચ્ચે પડી મામલો શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.જોકે ઉશ્કેરાયેલા આરોપીઓએ વૃંદાબેનને ધક્કો મારતા તેઓ કબાટ સાથે અથડાઈ નીચે પટકાયા હતા. માથા સહિત શરીરના અંદરના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
મૃતક વૃંદાબેન જૂનાગઢના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ખાસ પરસોત્તમ માસ માટે પોરબંદર આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ આ કરૂણ ઘટનાનો ભોગ બન્યા.ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.કમલાબાગ પોલીસે સુહાસી રાયચુરા, જગદીશ રાયચુરા અને શિલ્પાબેન રાયચુરા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે આરોપીઓની અટકાયત માટે કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.