Loading Please Wait !!!
ગુજરાતમાં જળસંકટ:88 જળાશયોમાં 20 ટકાથી ઓછું પાણી


=> રાજ્યના કુલ 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર ઘટીને માત્ર 55.24 ટકા નોંધાયું

=> સરદાર સરોવરમાં 70.92 ટકા પાણી, રાજકોટનો આજી-2 ડેમ 90 ટકાથી વધુ ભરેલો

=> સૌરાષ્ટ્ર અને કચ્છના 10 મોટા ડેમ સાવ તળિયાઝાટક થતા જળકટોકટીની ભીતિ

=> ! ભૂમિગત જળસ્તર ઘટશે તો પરિસ્થતી વધુ ગંભીર બનશે !

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં ચાલી રહેલી કાળઝાળ ગરમી અને હીટવેવના પ્રકોપ વચ્ચે હવે સૌ કોઈ ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જોકે, મેઘરાજાની પધરામણી થાય તે પહેલાં જ રાજ્યમાં પાણીની અત્યંત ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. હાલમાં રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં સરેરાશ જળસ્તર ઝડપથી ઘટીને માત્ર ૫૫.૨૪ ટકા જ બચ્યું છે. ચોમાસું બેસવામાં હજુ ઘણો સમય બાકી છે, ત્યારે બાષ્પીભવન અને રોજિંદા વપરાશના કારણે જળસ્તરમાં સતત થઈ રહેલો આ ઘટાડો સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકો માટે મોટો ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો માટે પાણી વિના આગામી દિવસો વધુ કપરા સાબિત થઈ શકે છે.

રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા જળાશયોની સ્થિતિ દર્શાવતા નવા આંકડા મુજબ, ગુજરાતના ૮૮ જળાશયોમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે અને તેમાં ૨૦ ટકાથી પણ ઓછું જળસ્તર નોંધાયું છે. બીજી તરફ, પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત જુદા-જુદા જિલ્લાના ૧૦ મોટા જળાશયોમાં પાણી સાવ ખલાસ થઈ ગયું છે અને તેમાં માત્ર ધૂળ ઉડતું તળિયું દેખાઈ ગયું છે. સાવ તળિયાઝાટક થયેલા આ ડેમોમાં મુખ્યત્વે પોરબંદરમાં સારણ અને અમીપુર, જૂનાગઢમાં પ્રેમપરા, કચ્છમાં કૈલા, દેવભૂમિ દ્વારકામાં ગઢકી અને સુરેન્દ્રનગરમાં નિમ્બાણી જેવા મહત્વના જળાશયોનો સમાવેશ થાય છે. આ જળાશયો સુકાઈ જતા આસપાસના ગામડાઓમાં પીવાના પાણી અને પશુઓ માટેના ઘાસચારાની ગંભીર સમસ્યા ઉભી થવા પામી છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા અછતગ્રસ્ત વિસ્તારો માટે આશીર્વાદરૂપ અને રાજ્યની મુખ્ય જીવાદોરી ગણાતા નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં હાલ ૭૦.૯૨ ટકા જેટલું જળસ્તર નોંધાયું છે. અત્યારની વિકટ પરિસ્થિતિમાં આ વિશાળ ડેમ જ એકમાત્ર મોટો સહારો છે. આગામી ચોમાસા સુધી રાજ્યના કરોડો લોકોની પીવાના પાણીની રોજિંદી જરૂરિયાત પૂરી કરવા અને સિંચાઈ માટે આ ડેમ અત્યંત મહત્વનો સ્ત્રોત બની રહેશે. તંત્ર દ્વારા નર્મદાના નીર થકી અન્ય સુકાઈ ગયેલા વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોને આંશિક રાહત મળી શકે.

રાજકોટનું આજી-૨ જળાશય આશાસ્પદ

રાજ્યના મોટાભાગના ડેમોમાં જળસ્તર ઘટી રહ્યું છે ત્યારે, સમગ્ર રાજ્યમાં ૯૦ ટકાથી વધુ જળસ્તર ધરાવતું હોય તેવું એકમાત્ર જળાશય રાજકોટનું આજી-૨ છે, જે સ્થાનિક લોકો માટે મોટી રાહતના સમાચાર છે. આ સિવાય અન્ય નોંધપાત્ર જળસ્તર ધરાવતા જૂજ જળાશયોમાં ભાવનગરના હાનોલમાં ૮૮.૯૩ ટકા, સુરેન્દ્રનગરના વાંસોલમાં ૮૭.૧૫ ટકા, મહીસાગરના વણાકબોરીમાં ૮૬.૮૯ ટકા અને ભાવનગરના રંઘોલામાં ૮૩.૭૫ ટકા સાથે સૌથી વધુ જળસ્તર જોવા મળ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં પાણીની અસમાન વહેંચણી અને અછત પ્રવર્તી રહી છે. હવે જો આગામી ચોમાસું સમયસર શરૂ નહીં થાય અથવા વરસાદ થોડો પણ ખેંચાશે, તો રાજ્યના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના તથા સિંચાઈના પાણીની મોટી કટોકટી સર્જાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.