Loading Please Wait !!!
હાર્મની ગ્રુપના પુત્રવધૂ ખ્યાતિ આપઘાત કેસમાં ‘ડિજિટલ’ તપાસ: મૃતકનો આઇફોન FSL માં, 6 કલાકનું રહસ્ય ખોલશે મોબાઈલ ડેટા

 

  • આત્મહત્યાના થોડા સમય પહેલા જ ભાઈ-બહેન સાથે વીડિયો કોલ પર હસી-મજાક કરી હતી; પોલીસ હવે છેલ્લી ચેટ અને સર્ચ હિસ્ટ્રી ખંખોળશે

  •  માતા-પિતાના વિદેશ પ્રવાસની તૈયારીઓ વચ્ચે કરુણ અંજામ; "તારા માટે નવા ચંપલ મોકલીશ" તેવો બહેનનો વાયદો અધૂરો રહ્યો

  •  સવારે માતા-પિતા સાથે અત્યંત સામાન્ય વાતચીત કરી હતી; બીજી ચાવીથી બેડરૂમનો દરવાજો ખોલતા જ સામે આવ્યું ભયાનક દ્રશ્ય

    સુરત: સુરતના પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પર હાર્મની ગ્રુપના અશોક કેજરીવાલની પુત્રવધૂ ખ્યાતિના રહસ્યમયી આત્મહત્યા કેસમાં ઉમરા પોલીસે તપાસ તેજ કરી છે. ગુરુવારે પોલીસે ખ્યાતિના પિયર પક્ષના વિગતવાર નિવેદનો નોંધ્યા હતા. આ કેસમાં સૌથી મોટો વળાંક એ છે કે ખ્યાતિએ તેના અંતિમ પગલાંના થોડા જ કલાકો પહેલા તેના માતા-પિતા અને અમેરિકામાં રહેતા ભાઈ-બહેન સાથે અત્યંત સામાન્ય અને ખુશખુશાલ રીતે વાતચીત કરી હતી. પોલીસે હવે આત્મહત્યા પાછળનું રહસ્ય ઉકેલવા માટે ખ્યાતિનો આઇફોન એફએસએલ (FSL) માં મોકલી આપ્યો છે.

    મંગળવારની સવારે ૧૧:૩૦ વાગ્યે ખ્યાતિએ તેના પિતા દીપક બંસલ અને માતા સીમા બંસલ સાથે દરરોજની જેમ સામાન્ય વાતો કરી હતી. બપોરે ૨ વાગ્યે તે પોતાના રૂમમાં આરામ કરવા ગઈ હતી, પરંતુ ૪ વાગ્યા પછી પણ દરવાજો ન ખુલતા ચિંતા જન્મી હતી. જ્યારે પરિવારે બીજી ચાવીથી દરવાજો ખોલ્યો ત્યારે ખ્યાતિ પંખા સાથે દુપટ્ટા વડે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસ એ જાણવા માટે મથી રહી છે કે જે દીકરી સવારે અત્યંત સામાન્ય હતી, તેને એવા કયા સંજોગો નડ્યા કે તેણે અચાનક જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો.

    ખ્યાતિના પિયર પક્ષમાં ટૂંક સમયમાં અમેરિકા જવાની તૈયારીઓ ચાલતી હતી. તેનો ભાઈ સિદ્ધાર્થ અને બહેન અનુષ્કા ત્યાં અભ્યાસ કરે છે અને તેમના પદવીદાન સમારોહમાં સામેલ થવા માટે માતા-પિતા વિદેશ જવાના હતા. ખ્યાતિ પોતે પણ આ પ્રવાસ વિશે ઉત્સાહિત હતી. આત્મહત્યાના આગલા દિવસે જ તેણે વોટ્સએપ વીડિયો કોલ પર પોતાના ભાઈ-બહેન સાથે લાંબી વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેની બહેને તેને અમેરિકાથી નવા ચંપલ મોકલવાનું પણ વચન આપ્યું હતું. આટલી સકારાત્મક વાતો વચ્ચે આપઘાતની ઘટના કોઈના ગળે ઉતરતી નથી.

    ઉમરા પોલીસના જણાવ્યા મુજબ, ખ્યાતિના માતા-પિતાના નિવેદનમાં સાસરી પક્ષ વિશે હજુ સુધી કોઈ ગંભીર આક્ષેપો સામે આવ્યા નથી, પરંતુ પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે. ખ્યાતિનો આઇફોન પોલીસ માટે ચાવીરૂપ પુરાવો સાબિત થઈ શકે છે. FSL દ્વારા ફોનની છેલ્લી ચેટ્સ, કોલ લોગ્સ અને ગુગલ સર્ચ હિસ્ટ્રી રિકવર કરવામાં આવશે. આનાથી એ સ્પષ્ટ થશે કે મંગળવારે બપોરે ૨ થી ૪ વાગ્યાના એ નિર્ધારિત ૬ કલાક દરમિયાન ખ્યાતિ કોના સંપર્કમાં હતી અને તેના મનમાં શું ચાલી રહ્યું હતું.

    હાર્મની યાર્ન્સ જેવી મોટી કંપનીના પરિવારની પુત્રવધૂના આ પગલાથી સુરતના ઉદ્યોગ જગતમાં ખળભળાટ છે. ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. FSL રિપોર્ટ અને અન્ય ડિજિટલ પુરાવાઓ સામે આવ્યા બાદ જ આ હાઈ-પ્રોફાઈલ આપઘાત કેસ પરથી પડદો ઉચકાશે. હાલમાં તો એક હસતો-રમતો પરિવાર પોતાની લાડકી દીકરી ગુમાવવાના શોકમાં ડૂબી ગયો છે.