38.6 C
Ahmedabad
Monday, June 9, 2025
spot_imgspot_imgspot_img

ગામડાંઓ માટે સોલાર ક્રાંતિ: સૌથી વધુ સોલાર લગાવનાર ગામને ₹1 કરોડનું ઇનામ!


રાજકોટ જિલ્લાના 27 સહિત સૌરાષ્ટ્રના 244 ગામ વચ્ચે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે સ્પર્ધા

કેન્દ્ર સરકાર દ્વારા ‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત શહેરો ઉપરાંત ગામડે ગામડે પણ સોલાર રૂફટોપ યોજનાને લોકપ્રિય બનાવવાનો લક્ષ્ય છે. આ સ્પર્ધા 30 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે. આ છ માસના સમયગાળા દરમિયાન, જે ગામ સૌથી વધુ સોલાર રૂફટોપ લગાવીને સૌરઊર્જાનું ઉત્પાદન કરશે, તેને કેન્દ્ર સરકાર દ્વારા ₹1 કરોડનું ઇનામ આપવામાં આવશે.

પી.જી.વી.સી.એલ. સર્કલમાં રાજકોટ જિલ્લાના 27 ગામો સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાના કુલ 244 ગામો આ પ્રતિસ્પર્ધામાં ભાગ લેશે.

ગ્રીન એનર્જીમાં ગુજરાતનું નેતૃત્વ

સમગ્ર વિશ્વ પોલ્યુશન મુક્ત ગ્રીન એનર્જી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતમાં ‘પી.એમ. સૂર્યઘર યોજના’ અને સોલાર રૂફટોપ સહિતની યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓના અમલીકરણમાં ગુજરાત રાજ્ય સોલાર રૂફટોપ ક્ષેત્રે ભારતમાં પ્રથમ નંબરે છે. રાજ્યે સોલાર રૂફટોપના કારણે પાંચ હજાર મેગાવોટથી વધુની ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરીને ગ્રીન એનર્જી ક્ષેત્રે અન્ય પ્રદેશોને પણ માર્ગ ચીંધ્યો છે. આ સ્પર્ધાના સશક્ત અમલીકરણ દ્વારા ગુજરાતમાં માત્ર શહેરો જ નહીં, પરંતુ નાના ગામો પણ રૂફટોપ સોલારના માધ્યમથી ગ્રીન એનર્જી ઉત્પાદનમાં અગ્રેસર ભૂમિકા ભજવશે.


5 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામડાંઓમાં સૌરઊર્જાને વેગવંતી બનાવવા કેન્દ્ર સરકારની સ્કીમ હેઠળ ભાગ લેનાર ગામોની સંખ્યા:

જિલ્લોગામની સંખ્યા
રાજકોટ27
અમરેલી21
ભાવનગર29
બોટાદ14
દેવભૂમિ દ્વારકા16
ગીર સોમનાથ33
જામનગર13
જૂનાગઢ27
કચ્છ29
મોરબી08
પોરબંદર07
સુરેન્દ્રનગર20

નોંધ: સ્પર્ધામાં સૌથી વધુ ગીર સોમનાથના 33 ગામડાં ભાગ લઈ રહ્યા છે.


ઇનામની રકમનો ઉપયોગ સોલાર એક્ટિવિટીમાં કરી શકાશે

છ માસ પૂર્ણ થયે દરેક જિલ્લામાં જે ગામ સૌથી વધુ સોલાર ક્ષમતા ધરાવતું હશે, તે ગામને મોડેલ વિલેજ તરીકે પસંદ કરવામાં આવશે. ત્યાર બાદ, એમ.એન.આર.ઈ. (મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી) ની ગાઈડલાઈન મુજબ ડી.પી.આર. (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવી સોલાર સંબંધી વધુ કામગીરી કરવામાં આવશે. જેમાં સરકારી કચેરીઓમાં રૂફટોપ લગાવવા, કૃષિ માટે સોલાર પંપ, કમ્યુનિટી હોલ માટે સોલાર તેમજ લાઈવલીહૂડ સોલાર એક્ટિવિટી માટે આ ફંડનો ઉપયોગ કરી શકાશે.


ગામોમાં ટાસ્કફોર્સની રચના, આગેવાની ગ્રામપંચાયત લેશે

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી વિભાગ દ્વારા પી.એમ. સૂર્યઘર યોજનાના ભાગ રૂપે 5 હજાર કે તેથી વધુ વસ્તી અને રેવન્યુ સરહદ ધરાવતા ગામડાંઓમાં સૌરઊર્જાને વેગવંતી બનાવવા ‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા અમલી બનાવી છે. સ્પર્ધક ગામોમાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેની આગેવાની ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવશે. વધુને વધુ લોકો સોલાર રૂફટોપ લગાવે તે માટે પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા આઉટરીચ પ્રોગ્રામ તેમજ ડોર-ટુ-ડોર પ્રચાર-પ્રસારની કામગીરી દ્વારા લોકજાગૃતિ ફેલાવવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -