લખનઉ, 10 જૂન 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ દરમિયાન થયેલી ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત મામલે યોગી આદિત્યનાથ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. અગાઉ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, અને હવે અલ્હાબાદ હાઈકોર્ટે પણ આ મામલે યોગી સરકારની આકરી ઝાટકણી કાઢી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્હાબાદ હાઈકોર્ટે મહાકુંભ ભાગદોડમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓની સંખ્યા અંગેની વિસંગતતા પર સરકારને સણસણતા સવાલો પૂછ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે ભાગદોડમાં 37 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું, જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ આંકડો 82 જેટલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટના તીખા સવાલો:
ઉદય પ્રતાપ સિંહ નામના એક અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશ સૌમિત્ર દયાલ સિંહ અને ન્યાયાધીશ સંદીપ જૈનની બેન્ચે સરકારને ત્રણ મુખ્ય સવાલો કર્યા હતા:
- મૃતકોના પરિવારજનોને વળતર કેમ ચૂકવાયું નથી? હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે જ્યારે સરકારે વળતર આપવાની જાહેરાત કરી હતી, ત્યારે તે સત્વરે ચૂકવવું જોઈતું હતું. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આવા કિસ્સાઓમાં નાગરિકો દોષિત નથી.
- મહાકુંભ ભાગદોડના પીડિતો મુદ્દે સોગંદનામું દાખલ કરો: કોર્ટે ઘાયલોની સારવાર કરનારા તમામ ડોકટરો વિશે પણ માહિતી માંગી છે. કોર્ટના આ હસ્તક્ષેપથી મૃતકો અને ઘાયલો વિશે વધુ વિગતવાર માહિતી પ્રકાશમાં આવવાની શક્યતા છે.
- રોકડમાં વળતર ચૂકવવાનો ઓર્ડર કોણે આપ્યો? અરજદારે દાવો કર્યો હતો કે તેમની પત્નીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ન હતું અને પરિવારને પણ યોગ્ય જાણકારી આપવામાં આવી ન હતી. આને સરકારી સંસ્થાઓની ગંભીર ભૂલ ગણાવતા, કોર્ટે રોકડમાં વળતર ચૂકવવાનો ઓર્ડર ક્યાંથી આવ્યો તે અંગે પણ સવાલ ઉઠાવ્યો છે.
અખિલેશ યાદવે પણ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, “ભાજપના લોકો કોઈના મૃત્યુ વિશે ખોટું બોલી શકે છે, આવા લોકો પર વિશ્વાસ કરવામાં આવશે નહીં.” આ મામલો હવે વધુ ગરમાયો છે અને હાઈકોર્ટના કડક વલણથી યોગી સરકાર પર દબાણ વધ્યું છે.