ગેનીબેન ઠાકોરનો કડીમાં હુંકાર: ‘વેચાયેલો માલ’ કહી કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ પર પ્રહાર
કડી, [09-06-2025]: કડી વિધાનસભાની પેટાચૂંટણીના ગરમાતા માહોલ વચ્ચે રાજપુર ખાતે યોજાયેલી કોંગ્રેસની સભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ગેનીબેને આ નેતાઓને “વેચાઈ ગયેલો માલ” કહીને સંબોધ્યા હતા અને જનતાને તેમને રોકડું પરખાવવા માટે અપીલ કરી હતી.
“ભાજપના પૈસા એરંડા રાયડા વેચીને નથી ભેગા કર્યા”
સભાને સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, “ભાજપવાળા કોઈ લોભ, લાલચ કે પૈસા આપે તો લઈ લેજો. એમના પૈસા કોઈ એરંડા રાયડા વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી.” તેમણે લોકોને અપીલ કરી કે, “તમારે વાપરવા હોય તો વાપરજો, નહીં તો રમેશભાઈના કામમાં વાપરજો, પણ મત કોંગ્રેસને જ આપજો.”
“મંત્રી બનવાના સ્વપ્ન જોનારાઓને ભાજપે ગોડાઉનમાં નાંખી દીધા”
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ પર પ્રહાર કરતા ગેનીબેને જણાવ્યું કે, આવા નેતા જો મત માંગવા આવે તો તેમને કહેજો કે “તમે બધા વેચાયેલા માલ છો અને તમે તમારા સ્વાર્થ માટે ભાજપમાં ગયા છો.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ ભાજપમાં મંત્રીઓ થવા ગયા છે, પણ તેમને ભાજપે મોટું ગોડાઉન બનાવ્યું છે, તેમાં નાખી દીધા છે.”
“કોંગ્રેસમાં ભાષણ કરતા હતા, ભાજપમાં જઈ બકરી બની ગયા”
ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે, જે નેતાઓ કોંગ્રેસમાં “ઉલળી ઉલળી ભાષણ કરતા હતા,” તેઓ ભાજપમાં જઈને “ગાય બકરી બની ગયા છે.” આ નિવેદનો દ્વારા તેમણે કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓની સક્રિયતા અને સ્વતંત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા.
આ સભામાં ગેનીબેન ઠાકોર ઉપરાંત બળદેવજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. કડી પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આક્રમક પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.