વિશ્વને ભારતના સાંસ્કૃતિક સામર્થ્યનો પરિચય આપી રહેલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. પ્રધાનમંત્રી શ્રીના વસુધૈવ કુટુંબકમના વિચારને લક્ષમાં રાખીને આધ્યાત્મનો પ્રસાર કરતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા G20ના મહેમાનો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સોમનાથમાં G-20 ડેલિગેટ્સના સ્વાગતમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવી હતી જેમાં સોમનાથ મંદિર, મહાદેવ શિવજી, અને ગીરની ઓળખ એશિયાટિક સિંહ તેમજ G20 ના લોગો સાથે બે દિવસની મેહનત કરીને રંગોળી તૈયાર કરવામાં આવી હતી. સોમનાથ મંદિરના અદભુત ઇતિહાસ અને વિસર્જન પછી સર્જનની સોમનાથની ગાથા જાણીને વિદેશી ડેલિગેટ્સ અભિભૂત થયા હતા. તમામ મહેમાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ ત્રિપુંડ અને ચંદન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ જ્યોતિર્લિંગનું મહાત્મ્ય સમજાવીને તેઓને મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ યજ્ઞનો લાભ આપવામાં આવ્યો હતો. સનાતન ધર્મમાં યજ્ઞ પરંપરા અનેં તેમાં આહુતિ આપવામાં આવતા પવિત્ર દ્રવ્યો અંગે તૈયાર કરાયેલ શોર્ટ ફિલ્મ પણ મહેમાનોને બતાવવામાં આવી હતી. સનાતન ધર્મ હંમેશા વિશ્વ શાંતિ માટે ચિંતન અને પ્રાર્થના કરતો આવ્યો છે. ત્યારે વિશ્વભરના જુદા જુદા દેશોમાંથી આવનાર ડેલીગેટસ્ ને સોમનાથ ટ્રસ્ટ દ્વારા લઘુ યજ્ઞ પદ્ધતિ દ્વારા યજ્ઞ કરાવવામાં આવ્યો હતો.
સોમનાથ મંદિરના પૂજારી શ્રી દ્વારા શાંતિ મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, સહિતના વેદોક્ત મંત્રો સાથે મહેમાનોને યજ્ઞ કરાવવામાં આવ્યો હતો. યજ્ઞના અંતે વિદેશી ડેલીગેટસ્ પણ હર હર મહાદેવના નાદ અને જય સોમનાથના નાદમાં જોડાયા હતા જે જોઈને વિશ્વબંધુતાની ઉદ્દાત ભાવના વધુને વધુ સુંદર બની હતી.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિર સોમનાથ