રાજકોટ જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષમાં ૫૦ રેઈડ થકી ૫૪ તરૂણો અને ૧૨ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા: ૮ એફ. આઈ.આર. દાખલ, ૨૩ ફોજદારી કેસ દાખલ
રાજકોટ વહીવટી તંત્ર દ્વારા બાળ મજૂરી અટકાવવા રેઇડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની કામગીરી મિશનમોડમાં કરાઈ
મજૂરીમાં સપડાયેલા બાળકોના સામાજિક, શૈક્ષણિક પુનર્વસનની કાળજી લેતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર
કોઈ બાળક મજૂરી કરતું દેખાય, તો તેની જાણ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ પર અથવા નજીકના પોલીસ સ્ટેશન કે શ્રમ વિભાગની કચેરીમાં કરી શકાય
આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી
રાજકોટ તા. ૧૧ જૂન – રાજકોટ જિલ્લાના બાળકોના સુરક્ષિત અને શિક્ષિત બાળપણના સંવિધાનથી પ્રાપ્ય અધિકારના સંરક્ષણની બખૂબી કામગીરી કરી રહ્યું છે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર. બાળ મજૂરીની સામાજિક બદીને નાથવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે રેઇડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની કામગીરી મિશનમોડમાં કરી જેના થકી છેલ્લા દોઢ વર્ષમાં કુલ ૫૪ તરૂણ અને ૧૨ બાળકોને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યાં છે. જેમાં કસૂરવાર માલિકો સામે કુલ ૨૩ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ૮ એફ.આઈ.આર. નોંધાવવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં બાળ મજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી (નોડલ અધિકારી), મદદનીશ શ્રમ આયુક્ત (સભ્ય સચિવ) સહિત જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ અધિકારી, પોલીસ અધિક્ષકશ્રી અને અન્ય મહત્ત્વપૂર્ણ વિભાગોના અધિકારીઓ તેમજ એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ સભ્ય તરીકે કાર્યરત છે.
આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજવામાં આવે છે, જેમાં માસિક આયોજન સાથે જિલ્લાના પ્રોન એરિયાને આઇડેન્ટિફાય કરી દર માસે ઓછામાં ઓછી બે રેઇડ યોજી બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવે છે. રેઇડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરીને તેમનું સામાજિક અને શૈક્ષણિક પુનર્વસન કરવામાં આવે છે. આ સાથે જ શ્રમ વિભાગ દ્વારા ૧૪ થી ૧૮ વર્ષ દરમિયાનના બિનજોખમી ક્ષેત્રોમાં કામ કરતા તરુણોના અધિકારોનું પણ રક્ષણ કરવામાં આવે છે. જેમાં છ કલાકથી વધુ કામગીરીના કલાકો ન હોવા તથા તેમના શિક્ષણને બાધ્ય બનતાં તત્વોને અટકાવવાની પણ દરકાર લેવામાં આવે છે.
રેઈડ બાદ મુક્ત કરાયેલાં બાળકોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવે છે ત્યારબાદ ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) દ્વારા જરૂરી તપાસ બાદ તેમને તેમનાં માતા-પિતાને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યની CWC મારફતે તેમના વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે છે. બાળકોના શિક્ષણની વિગતો જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવામાં આવે છે, જેઓ બાળકની ઉંમર અનુસારના સર્વશિક્ષા અભિયાન હેઠળના બ્રિજ કોર્સમાં જોડી ત્યારબાદ યોગ્ય ધોરણમાં શાળા પ્રવેશ અપાવે છે. જેથી બાળકનું શૈક્ષણિક પુનઃસ્થાપન કરવામાં સહાયતા મળે છે.
અનેક કિસ્સાઓમાં બાળકનાં માતા-પિતા પાસે આર્થિક ઉપાર્જનનું કોઈ સાધન ન હોય ત્યારે તંત્ર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સંચાલિત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ અપાવી તેમના પરિવારનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે.
વૈશ્વિક સ્તરે બાળ મજૂરીની સમસ્યાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે જરૂરી પગલાં લેવા ૧૨ જૂનને “વિશ્વ બાળ મજૂરી વિરોધી” દિવસ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ ૨૦૦૨માં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા આ દિવસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા ૧૯૮૪માં બાળ શ્રમયોગીઓ પર પ્રતિબંધ અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કલમ ૧૪ અંતર્ગત બાળ અધિકારોના રક્ષણ હેતુ વર્ષ ૧૯૮૬માં બાળ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ અમલમાં આવ્યો જેમાં ૨૦૧૬માં થયેલા સુધારા સાથે બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ કરવામાં આવ્યું છે.
આ કાયદા હેઠળ ૧૪ વર્ષથી ઓછી વયનાં બાળકોને કોઈપણ પ્રકારના વ્યવસાયમાં કામે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ૧૪થી ૧૮ વર્ષના તરુણોને જોખમી વ્યવસાયો અથવા પ્રક્રિયાઓમાં કામે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ કાયદાનો ભંગ કરનાર માલિકને રૂ. ૧,૦૦,૦૦૦ સુધીનો દંડ અથવા ૬ માસ સુધીની જેલ અથવા બંને સજાની જોગવાઈ છે.
રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર બાળ મજૂરી મુક્ત સમાજ બનાવવા માટે પ્રતિબધ્ધ છે, જેમાં નાગરિકોના સહયોગ માટે શ્રમ અધિકારીશ્રી ચંદારાણાએ અનુરોધ કર્યો છે કે જો આપની આસપાસ કોઈ બાળક મજૂરી કરતું દેખાય, તો તેની જાણ ચાઇલ્ડલાઇન હેલ્પલાઇન નંબર ૧૦૯૮ પર અથવા નજીકના પોલીસ સ્ટેશન કે શ્રમ વિભાગની કચેરીમાં કરી શકાય છે. જેમાં નાગરિકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. જેથી નાગરિકો વિના સંકોચે બાળકના ભવિષ્યને બચાવવા નિમિત્ત બની શકે છે. તો ચાલો, રાજકોટ જિલ્લાને બાળમજૂરીથી સંપૂર્ણ મુકત બનાવીએ, બાળ જીવનને ઉજજવળ બનાવીએ.