પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મંડપ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને દસ લોકો ઘાયલ થયા છે.
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે (11મી જૂન) સવારે જ્યારે મંડપ ઊભો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક એક દોરી તૂટી પડતાં સમગ્ર મંડપ નીચે પટકાયો હતો.
આ દુર્ઘટનામાં એક દર્શનાર્થીનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટના બનતા જ ગ્રાઉન્ડ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.
તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયો હતો અને તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
હાલમાં સ્થાનિક પ્રશાસન દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.