આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ જુનાગઢમાં એક પ્રેસ કોન્ફરન્સમાં વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને ગંભીર આરોપો કર્યા હતા. મીડિયા સમક્ષ આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, વિસાવદરના ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે પોતાનું ફોર્મ ભરતી વખતે જે એફિડેવિટ રજૂ કર્યું તેમાં તેમણે જણાવ્યું કે એક વર્ષ પહેલાં તેમની આવક 34 લાખ 74 હજાર હતી, અને એ આવક વધીને એક વર્ષ બાદ એક કરોડ ૪૨ લાખ થઈ ગઈ છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત, પણ તેમણે પોતાની આવક ચાર ઘણી કરી નાખી, આ રૂપિયા ક્યાંથી આવ્યા છે? શું આ ખેડૂતોના લૂંટના પૈસા છે? શું આ મગફળી કાંડના પૈસા છે? આવા સવાલો હાલ લોકો કરી રહ્યા છે જ્યારે ચૂંટણીનું ફોર્મ ભરવામાં આવે છે ત્યારે એફિડેવિટમાં પોતાના કેશ, પોતાની મિલકત સહિત ગાડીઓની માહિતી આપવાની હોય છે. ભાજપના ઉમેદવારે પોતાની ગાડી હોવા છતાં એફિડેવિટમાં દર્શાવી નથી.