રાજકોટ ખાતે આગામી તા. ૦૬ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય ચંદ્રચુડના હસ્તે નવી કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરાશે. આ પ્રસંગે રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
₹૧૧૦ કરોડના ખર્ચે રાજકોટ ખાતે ૩૬,૫૨૦.૦૦ ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં ૦૫ માળના આ નવા ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કોર્ટ બિલ્ડીંગમાં ૫૨ કોર્ટરૂમની સુવિધા તેમજ ન્યાયાધીશો માટે લાઈબ્રેરી તેમજ વિડીયો કોન્ફરન્સ હોલ, વકીલો માટે બારરૂમ, સરકારી વકીલો માટે ચેમ્બરો, વિવિધ જજ સાહેબ માટે ચેમ્બરો, કોર્ટનાં સ્ટાફ તથા અરજદારશ્રીઓ માટે કેન્ટીન, કોર્ટનાં સ્ટાફ – અરજદારોઓ માટે પાર્કીંગ તથા લેડીઝ-જેન્ટસ ટોઈલેટ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ તથા મુદ્દામાલ રૂમ અને સીસીટીવી સર્વેલન્સ સાથેની વિવિધ સવલતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ દિવ્યાંગો માટે ટોઈલેટ તથા રેમ્પ વગેરે સવલતોનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે. જ્યારે અંદાજિત ૭૫૦ થી ૮૦૦ વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત રહી શકે તેવું સુવિધાસભર આ નવીન બિલ્ડીંગ તૈયાર કરાયું છે.
હાલ ૩૯ કોર્ટો રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળે બેસીને ન્યાયિક કાર્ય કરે છે. આ નવું બિલ્ડિંગ બનવાથી ૫૨ કોર્ટો એક જ સ્થળે બેસીને કાર્ય કરી શકશે, જેનાથી ન્યાયિક પ્રક્રિયાને વેગ મળશે.