નવલા નોરતા પૂર્ણ થયા બાદ આજે વિજયાદશમી દશેરાનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે. ખેલૈયાઓ મન મુકીને નવે નવ દિવસ ગરબે ઘૂમ્યા હતા. આજનો દિવસ દશેરા શહેરમાં ફરસાણમાં સૌથી મોખરે ગણાતા હોય તો તે ફાફડા-જલેબી છે. તેમાં પણ ખાસ કરીને રાજકોટવાસીઓ અવનવું આરોગવાના શોખીન હોય છે. તેઓ ખાસ આજના દિવસે ફાફડા-જલેબી ખાય છે. વહેલી સવારથી ફરસાણની દુકાનોમાં લોકોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. ફરસાણના વેપારીઓએ પણ આજના દિવસને લઇ અગાઉથી તૈયારીઓ શરુ કરી દીધી હતી. ફાફડા-જલેબી ગરમ જ આરોગવામાં આવે છે. આથી વહેલી સવારથી કારીગરોએ બનાવવાનું શરુ કરી દીધું હતું. સવારે 8 વાગ્યાથી લોકોએ ખરીદી શરુ કરી હતી. આજે રાજકોટમાં 70-80 હજાર કિલો ફાફડા-જલેબી, પાપડી, ચોરાફળી અને મીક્સ મીઠાઇનું વેચાણ થયેલ છે. ત્યારે અંદાજે 10 કરોડની આવક થઇ શકે છે. લાઇવ વસ્તુ બનતી હોવાથી ગરમા ગરમ ગાંઠીયાનો ઉપાડ થયો હતો. વિજ્યાદશમી સત્યનો અસત્ય પર વિજય તરીકે દિવસ છે. આથી લોકો હર્ષોલ્લાસ સાથે મનાવે છે.આજે રાત્રે રાવણના મોટા પુતળાનું દહન કરવામાં આવશે અને દશેરાની ઉજવણી કરવામાં આવશે.