દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનની પરંપરા છે પરંતુ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ દશેરાની પૂર્વ પ્રભાતે અનોખા શસ્ત્રો અને શાસ્ત્રનું પૂજન કરીને વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી. વિજયા દશમીનો તહેવાર આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતિકરૂપે મનાવવામાં આવે છે. પરંતુ વર્તમાન યુગમાં આ તહેવાર અજ્ઞાન ઉપર શાનના વિજયરૂપે ઉજવવાનું વિરાણી હાઈસ્કૂલ દ્વારા નકકી કરવામાં આવ્યું કે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતે જેમાં પોતાની કારકિર્દી બનાવવા માગતા હોય તે શૈક્ષણિક સાધનોને શસ્ત્રો તરીકે પૂજન કર્યુ. જેમાં પેન, પેન્સિલ, પરિકર, લેપટોપ, માઈક્રોસ્કોપ, બ્યુરેટ, માઈક્રોમીટર, લોલક, ટી–સ્કવેર, સંગીતના સાધનો, બ્રશ અને કલર બોકસ, તુલસીનો છોડ જેવા વિધાના પ્રતિકોનું બાળકો દ્વારા બ્રહ્મદેવના મંત્રોચ્ચાર દ્વારા શાસ્ત્રોકત વિધિથી પૂજન કરવામાં આવ્યું. તદ્ઉપરાંત પાણી ન વેડફે તે માટે જળનું, ખોરાકનો બગાડ ન થાય તે હેતુથી અનાજનું તથા માટી અને પ્રકૃતિ બચાવવાના હેતુથી માટી અને તુલસીના છોડનું પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્રો સુરક્ષાનું પ્રતિક છે પરંતુ આજે હિંસાનું માધ્યમ બની ગયા છે. તેથી હિંસા, આતંક, અત્યાચાર જેવા આસુરી તત્વોને નાથવા હશે તો સર્વધર્મ સમભાવ, ભાઈચારો અને એકતાની ભાવનાને મજબૂત કરવી પડશે. આ બાબતને ધ્યાનમાં રાખી શાળામાં ભગવદ ગીતા, રામાયણ, કુરાન, બાઈબલ, સામવેદ, યર્જુવેદ, અથર્વવેદ, ૠગ્વેદ, શિવપુરાણ, મહાપુરાણ સહિતના વિવિધ ધર્મના પવિત્ર ગ્રંથો તથા પુસ્તકોનું પુજન પણ કરવામાં આવ્યું.