તા. 05 થી 09 સપ્ટેમ્બર એટલે કે પાંચ દિવસ સુધી યોજાનાર રસરંગ લોકમેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે. ત્યારે આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા થઈ છે. જે પૈકી રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 04 પ્લોટ, નાની ચકરડીના 48 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવશે. જયારે ખાણીપીણીના 37 સ્ટોલ, યાંત્રિકના 44 પ્લોટ, આઈસ્ક્રીમના 16 પ્લોટ, ફૂટ કોર્ટના 03 પ્લોટ, 01 ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવશે. લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 03 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 100 ખાનગી સિક્યોરીટી ગાર્ડ ફરજ બજાવશે. તેમજ તા.5ને મંગળવારના રોજ રાજયનાં મંત્રી ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રસરંગ લોકમેળાનો પ્રારંભ કરાવાશે.