રાજકોટ શહેરની મુખ્ય બજાર લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ સહિતના વિસ્તારોના વેપારીઓ અને પાથરણાવાળાની છેલ્લા લાંબા સમયથી દબાણ અંગે શીતયુધ્ધ ચાલી રહ્યું છે. જેમાં મુખ્ય બજારના 500થી વધુ વેપારીઓ દ્વારા મ્યુ.કમિશ્નર, મેયર અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખને આવેદનપત્ર પાઠવી દબાણ હટાવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. અનેકવાર રજુઆત કરવા છતાં યોગ્ય નિર્ણય ન લેવાતા વેપારીઓ અકળાય ગયા છે. ત્યારે તેઓ આજે ફરી પોલીસ કમિશ્નર કચેરીએ રજુઆત માટે ગયા હતા પરંતુ ત્યાં પણ અધિકારીઓ દ્વારા અસંતોષકારક જવાબ મળતા તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા પણ ‘નો ફેરીયા ઝોન જાહેર કરવા’ની મનાઇ કરતા વેપારીઓ ઉગ્ર બન્યા છે. અધિકારીઓએ અમારા દાયરામાં ન આવે તેવું જણાવી જવાબદારીમાંથી છુટકારો મેળવ્યો હતો. તેમજ જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નકકર પગલા લેવામાં નહીં આવે તો વેપારીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજુઆત કરશે. વેપારીઓની રજુઆત બાદ પાથરણાવાળા અને ફેરીયાઓ પણ બાંયો ચડાવી હતી. તેઓએ વેપારીઓ પૈસા લઇ કનડગત કરતા હોવાની રજુઆત કરતી હતી. આમ વેપારીઓ અને પાથરણાવાળા, ફેરીયાઓ સામસામે આક્ષેપો કરી રહ્યા છે. આજરોજ પોલસી કમિશનર કચેરીએ રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ્સ મરચન્ટ એસો.ના પ્રમુખ હિતેષભાઇ અનડકટ, લાખાજીરાજ રોડ એસો. પ્રમુખ મહેશભાઇ મહેતા, ધર્મેન્દ્ર રોડ એસો. પ્રનદભાઇ કલ્યાણી, ધી રાજકોટ રીટેઇલ રેડીમેઇડ ગારમેન્ટ એસો. પ્રમુખ જયેશભાઇ ધામેચા, દિવાનપરા એસો. રૂપેશભાઇ રાચ્છ રજુઆત માટે મુલાકાત લીધી હતી.