તહેવારોની મોસમમાં રાજકોટીયનોને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા દેશના વડાપ્રધાનનું આગામી તારીખ 27 જુલાઈનાં રોજ આગમન થનાર છે. ત્યારે તેમના હસ્તે લોકાર્પણ થનાર શહેરનાં પ્રથમ કેકેવી ફ્લાય ઓવરબ્રિજને તિરંગો શણગાર કરાયો છે. જેને લઈને આ બ્રિજ PM મોદીની પ્રતીક્ષામાં દેશભક્તિનાં રંગે રંગાયો હોવાનું લાગી રહ્યું છે. વિકાસના રાજમાર્ગ એવા કાલાવડ રોડ ઉપર અંદાજીત રૂ.129.35 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવતા અંદાજે બે લાખ લોકોને તેનો લાભ મળશે અને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળવાની સાથે સમય અને ઇંધણની બચત થશે. તેમજ આ ફલાયઓવર બ્રિજની વિશેષતા એ છે કે, હયાત બ્રિજ ઉપર નવો બ્રિજ બનાવાયો છે. કે.કે.વી. ચોક પર ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ પહેલાથી જ આવેલો હતો. ભવિષ્યમાં થનારી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બી.આર.ટી.એસ.બ્લુ કોરિડોર પર કે.કે.વી ચોક પર આવેલ બ્રિજ ઉપર નિષ્ણાંતોના અભિપ્રાય મેળવી મલ્ટી લેવલ ફલાયઓવર બ્રિજ બનાવવાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જે અંતર્ગત ઇ ટેન્ડર પ્રસિદ્ધ કરી સ્પર્ધાત્મક ઓફર મંગાવવામાં આવી હતી. જેમાં રણજિત બિલ્ડકોન લી. નામની કંપની સાથે સ્થાયી સમિતિની મંજૂરી મેળવી કરાર કરવામાં આવ્યો અને તા.21- જાન્યુઆરી-2021થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ સાથે પ્રથમ કેકેવી ફ્લાય ઓવરબ્રીજ તિરંગાના શણગારથી ઝળહળી ઉઠતા તેનો આકાશી નજારો સામે આવ્યો છે.