રાજકોટ શહેર પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે. શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરધાર ખાતે થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં આજી ડેમ પોલીસે શકમંદોની અટકાયત કરી પૂછપરછ કરી હતી અને આજે પૂછપરછ બાદ અચાનક એક વૃદ્ધનું મોત નીપજતાં આજી ડેમ પોલીસ દ્વારા માર મારવાના કારણે મોત થયાનો આક્ષેપ પરિવારે કર્યો છે. એને લઈ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે તપાસ હાથ ધરી છે.જેમાં પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના સરધારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં આજી ડેમ પોલીસ દ્વારા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે જે 3 શકમંદની અટકાયત કર્યા બાદમાં તેમની સંડોવણી ન હોવાથી છોડી મૂક્યા હતા. આજે સવારે ઠાકરશીભાઈ સોલંકીનું મોત નીપજતાં પરિવારજનોએ પોલીસના મારથી મોતનો આક્ષેપ કર્યો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવી રાજકોટ તાલુકા પંચાયતનો ઘેરાવ કરી ન્યાયની માગ કરી હતી. આ સાથે જ મૃતકના જમાઇ મનોજ દેલવાણિયાએ જણાવ્યું હતું કે ગત 3 તારીખના રોજ મને મારા સસરા અને સાળાને પોલીસે ચોરીના ગુનામાં પૂછપરછ અર્થે બોલાવ્યા હતા. 4 દિવસ સુધી અમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા અને અમને માર પણ મારવામાં આવ્યો હતો. મારા સસરાને મોઢામાં બંદૂક રાખી ગોળી મારી દઈશ કહી બિવડાવતા હતા. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પોલીસની આવી ધમકીથી મારા સસરા ખૂબ ડરી ગયા હતા. હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ગયા ન હતા. આજે સવારે અચાનક તેમનું મોત નીપજ્યું છે. પોલીસે બેફામ માર માર્યો એટલે જ મોત નીપજ્યું છે. અમને ન્યાય જોઈએ છે, મારા સસરાને માર મારનાર પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ.