રાજકોટના રેસકોર્સમાં પ્રથમ વખત ગૌટેક-2023 એક્સપોનો આજે પ્રારંભ થયો છે. જેને લઈને આજે બહુમાળી ચોકથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય ગૌસેવા આયોગના પૂર્વ ચેરમેન વલ્લભ કથિરિયાએ શણગારેલું બળદગાડું ચલાવ્યું હતું. જ્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પગપાળા ચાલીને પહોંચ્યા હતા. તેમજ ગાયત્રી યજ્ઞમાં આહુતિ આપી હતી. આ તકે સંતો-મહંતોની સાથે સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા પણ હાજર રહ્યા હતા, તેમજ બેન્ડવાજાના તાલે મહિલાઓ ગરબે ઘૂમી હતી. તેમજ આ અંગે મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, બળદથી થતી ખેતી ઘટતા ગામે ગામ આખલા રખડે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે આજે બપોર પછી દેશના સૌ પ્રથમ ગૌ આધારિત એક્સ્પો ગૌ-ટેક 2023નું ઉદઘાટન વિવિધ સ્ટોલ ના નિરીક્ષણ બાદ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન 2.30 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં 4 વિશાળ AC ડોમમાં કરવામાં આવ્યું છે. તેમજ ગૌ આધારિત વસ્તુઓનું પ્રદર્શન 200 જેટલા સ્ટોલમાં થશે. આ ઉપરાંત લોકો ગાયના સ્ક્લ્પચર સાથે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.