રાજકોટ: બનાવની પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે નવેક વાગ્યા આસપાસ રાજકોટ-જામનગર હાઇવે પર તરઘડી પાસે કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક હિમાંશુ પ્રવિણભાઇ પરમાર ઉ.વ.32, રહે. ઠેબા ચોકડી, જામનગર) કારમાં બેઠેલ અજય પ્રવિણભાઇ જોષી ઉ.વ.ર8, રહે. રાજકોટ, કારમાં પાછળ બેઠેલા અજય છગનભાઇ પરમાર ઉ.વ.20, રહે. કાલાવડ રોડ, આંબેડકરનગર, રાજકોટ અને ટ્રેકટર ચાલક ખેડુત કિરીટભાઇ લીંબાભાઇ ડોબરીયા ઉ.વ.40, રહે. ફતેપરા ગામ પડધરીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતા હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠયો હતો.
બનાવના પગલે પડધરી પોલીસના મહિલા પીએસઆઇ એમ.ડી.મકવાણા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પડધરી હોસ્પિટલે ખસેડયા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો જ્યારે ટે્રકટર ટ્રોલીથી નોખુ પડી ગયું હતું અને વ્હીલ પણ નીકળી ગયા હતા. ખેડુત કિરીટભાઇ ટ્રેકટર નીચે દબાઇ જતા દમ તોડી દીધો હતો. કાર સવાર ત્રણેય મિત્રો જામનગર જતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.