સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સંલગ્ન તમામ કોલેજો પાસેથી વર્ષ 2017થી અત્યાર સુધીનો જીએસટી ભરવા પરિપત્ર કર્યો છે. જેમાં ન માત્ર જીએસટી પરંતુ આટલા સમયનું વ્યાજ અને દંડ પણ ઉઘરાવતા સંલગ્ન કોલેજોના સંચાલકોમાં રોષ ફેલાયો છે. આ સમગ્ર મામલે કોલેજ સંચાલક મંડળ આગામી દિવસોમાં હાઈકોર્ટમાં રિટ પણ દાખલ કરવાના હોવાનું જાણવા મળ્યું છે જેના માટે 45થી વધુ કોલેજોએ એફિડેવિટ કરવા સહમતી પણ આપી દીધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જીએસટી ઉઘરાણી મુદ્દે ભાજપ-કોંગ્રેસ પણ એક થઇ ગયા હોય એમ બંને પક્ષના નેતાઓની કોલેજ એકસાથે લડત આપશે. તેમજ સંચાલક મંડળે આ અંગે કહ્યું છે કે, યુનિવર્સિટીએ વર્ષ 2017થી અત્યાર સુધીમાં ક્યારેય જીએસટી ભરવા જણાવ્યું નથી, હવે અચાનક જીએસટીની સાથે અત્યાર સુધીનું વ્યાજ અને દંડ પણ વસૂલવાની વાત કરવામાં આવી રહી છે જે તદ્દન ગેરવાજબી છે.નવી કોલેજ ફી, નવો અભ્યાસક્રમ ફી, નવું-ચાલુ જોડાણ ફી, એનરોલમેન્ટ ફી સહિતની તમામ જુદી જુદી ફી ઉપર જીએસટી વસૂલવા પરિપત્ર કર્યો જેનો તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ સંચાલક મંડળે કુલપતિને આ અંગે લેખિત રજૂઆત કરી હતી. યુનિવર્સિટીનો જીએસટીનો નિર્ણય હાસ્યાસ્પદ અને ગેરબંધારણીય ગણાવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા જોડાણ ઉપરાંત પરીક્ષા, એનરોલમેન્ટ વગેરે પ્રકારની ફી લેવાતી હોય ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને જતા રહ્યા હોય પાછલી તારીખથી કોઈ પ્રકા૨નો GST કોલેજ દ્વારા ચૂકવવાનો થતો હોય તે શક્ય બને નહીં.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ સંચાલક મંડળ આપના પરિપત્રનો વિરોધ કરે છે અને જરૂર પડ્યે કાયદાકીય લડત આપવાની પ્રક્રિયા હાથ ધરનાર છે. કોલેજો ઈન્કમટેક્સ અને ચેરિટેબલ ટ્રસ્ટના કાયદા મુજબ દ૨ વર્ષે ઓડિટ કરાવીને રિટર્ન ફાઈલ ક૨વાની તમામ કામગીરી પૂર્ણ થયા પછી પાછલી અસરથી GST આપના દ્વારા વસૂલી શકાય નહિ.