રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પુર્વ ચેરમેન સહિત તમામ સભ્યોની સમિતિના વિસર્જન બાદ ગત સપ્તાહે નવી બોડીની રચના માટે ભાજપે 12 ઉમેદવારો અને 3 સરકાર નિયુક્ત સભ્યોના નામ જાહેર કર્યા હતા. જે અંગે કોંગ્રેસના નેતા નિદત બારોટે જણાવ્યું હતું કે, સરકાર નિયુક્ત 3 સભ્યોના નામની જાહેરાત થઈ છે. તેમાં 1 સભ્યની નિમણૂકમાં ભૂલ છે. તેમજ શિક્ષણ સમિતિના 3 સરકાર નિયુક્ત સભ્યના નામ જાહેર થયા છે. જેમાં જયદીપ જળુ, જગદીશ ભાયાણી અને ડો.સંજય ભાયાણીનાં નામ છે. જોકે નિયમ મુજબ શિક્ષણ સમિતિના સરકાર તરફથી જાહેર થયેલા નામમાં એક સભ્ય ક્લાસ-2નો રાજ્ય સરકારનો કર્મચારી હોવો જરૂરી છે. પરંતુ ડો.સંજય ભાયાણી યુનિ.ના કર્મચારી હોવાથી તેઓ સરકારી ક્લાસ-2ના સભ્ય ગણાય નહીં. ત્યારે આ નિમણૂકમાં ભૂલ થઈ હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.