પરીક્ષાર્થીઓ પુસ્તક, મોબાઈલ ફોન, ટેબ્લેટ જેવા ઉપકરણો પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે નહીં
રાજકોટ તા. ૧૧ જૂન – ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા રાજકોટ શહેરમાં ૧૪૯ કેન્દ્રો ખાતે તા.૧૫-૦૬-૨૦૨૫ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકથી ૧૨:૩૦ કલાક સુધીમાં લોકરક્ષક કેડર – ૨૦૨૫ની લેખિત પરીક્ષા યોજવામાં આવશે.
આ પરીક્ષા પરીક્ષાર્થીઓ કોઇપણ જાતની ખલેલ વિના મુકત અને શાંત વાતાવરણમાં આપી શકે તે માટે પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્રોનાં કમ્પાઉન્ડમાં તેમજ તેની ચારેય બાજુની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં સવારે ૮:૦૦ કલાક થી ૧૩.૩૦ કલાક સુધી કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહી. આ ઉપરાંત શાળાઓ, કોલેજો (પરીક્ષા કેન્દ્રો) માં પ્રવેશ કરશે નહીં, વાહન લઈ જઈ શકશે નહી, લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં તેમજ ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થશે નહીં.
પરીક્ષાર્થીઓ પ્રશ્નપત્રને લગતું સાહિત્ય, પુસ્તક, ચાર્ટ, ગાઇડ, મોબાઈલ ફોન, ટેબ્લેટ વગેરે જેવા ડિજિટલ ઉપકરણો પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે નહીં તેમજ કેન્દ્ર આસપાસના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા વિગેરે બાબતોને લઈને ઈન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયાએ પ્રતિબંધ મૂક્યા છે. આ આદેશનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.