રાજકોટ, તા. 10 જૂન 2025: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ ગામે આવેલી ગાયત્રી હાઈસ્કૂલમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. શાળાના ક્લાર્ક ધર્મેન્દ્રભાઈ ભાનુશંકરભાઈ ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરાને એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો) દ્વારા રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓએ હાઈસ્કૂલના એક નિવૃત્ત શિક્ષક પાસેથી તેમના મોંઘવારી એરિયર્સ સહિત ₹12.15 લાખની રકમ પાસ કરાવવા માટે લાંચની માંગણી કરી હતી.
શું હતો સમગ્ર મામલો?
પાળ ગામની ગાયત્રી હાઈસ્કૂલમાંથી નિવૃત્ત થયેલા એક શિક્ષકને તેમના મોંઘવારીના 53% મુજબના એરિયર્સ બિલની રકમ અને રજા રોકડ રૂપાંતરની રકમ મળીને કુલ આશરે ₹12,15,000 ની રકમ ઝડપથી મળી જાય તે માટે તેમણે શાળાના ક્લાર્ક ધર્મેન્દ્રભાઈ ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ખીરાનો સંપર્ક કર્યો હતો.
આ તકનો લાભ ઉઠાવતા, આરોપીઓએ નિવૃત્ત શિક્ષક પાસેથી ₹3 લાખની લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે ₹2 લાખ આપવાનું નક્કી થયું હતું. આરોપીઓએ નિવૃત્ત શિક્ષકને આ રકમ તેમને ઘરે પહોંચાડવા જણાવ્યું હતું.
એસીબીની ટ્રેપ અને રંગે હાથ ધરપકડ:
પોતાના હકના રૂપિયા મેળવવા માટે લાંચ આપવાની ન હોવાથી નિવૃત્ત શિક્ષકે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. એસીબી દ્વારા આ મામલે ટ્રેપ ગોઠવવામાં આવી.
આરોપીઓએ લાંચની રકમ તેમના રાજકોટના વાણિયાવાડી વિસ્તારમાં આવેલા ઘરે આપવા જણાવ્યું હોવાથી, ફરિયાદી નિવૃત્ત શિક્ષક ₹2 લાખની રકમ લઈને આરોપીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં આરોપી ગુણવંતરાય ચુનીલાલ ખીરા (ઉં.વ. 74) એ પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને તેમની પાસેથી ₹2 લાખની ગેરકાયદેસર લાંચની રકમ માંગી. આ રકમ આરોપી ધર્મેન્દ્રભાઈ ભાનુશંકરભાઈ ખીરા (ઉં.વ. 55) ની હાજરીમાં સ્વીકારવામાં આવતા જ, એસીબીની ટીમે તુરંત બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ફરી એકવાર ઉજાગર કર્યો છે અને એસીબીની સક્રિયતા બદલ પ્રશંસા થઈ રહી છે.