રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બન્યો સંજીવની: જસદણના સાહિલને મળ્યું નવજીવન
સાણથલીના સાહિલની જન્મજાત હૃદયની ખામી વિનામૂલ્યે દૂર કરાઈ, પરિવારજનોએ સરકાર અને આરોગ્ય ટીમનો આભાર માન્યો
જસદણ, ૬ જૂન ૨૦૨૫: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજના જન્મજાત ખામીઓ ધરાવતા બાળકો માટે ખરેખર સંજીવની સમાન સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત હૃદય, તૂટેલા તાળવા જેવી જટિલ અને અત્યંત ખર્ચાળ સર્જરીનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. તેનું જીવંત ઉદાહરણ જસદણ તાલુકાના સાણથલી ગામનો સાહિલ વાઘેલા છે, જેની જન્મજાત હૃદયની ખામી આ કાર્યક્રમ થકી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે.
જસદણની RBSK ટીમની મદદથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સાહિલને વિનામૂલ્યે અને સમયસર સઘન સારવાર મળી, જેના પરિણામે તેના હૃદયની ખામી દૂર થઈ શકી છે.
નોકરી કરતા મધ્યમવર્ગીય મહેશભાઈ વાઘેલાને ત્યાં ૨૦ માર્ચ ૨૦૨૩ ના રોજ સાહિલનો જન્મ થયો ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, ૨૮ માર્ચ ૨૦૨૩ ના રોજ જસદણની RBSK ટીમના ડો. કિરણ કુંવારિયા અને ડો. સમર્થ રામાનુજે સાણથલી ખાતે મહેશભાઈ વાઘેલાના ઘરે વિઝીટ કરી સાહિલના સ્વાસ્થ્યનું સ્ક્રિનિંગ કર્યું, ત્યારે તેમને બાળકના હૃદયમાં કોઈ ખામી હોવાનું જણાયું.
ત્યારબાદ સાહિલના હૃદયની વધુ તપાસ માટે DEIC સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે માર્ગદર્શન અપાયું. જ્યાં તેને હૃદયની ગંભીર ખામી હોવાનું નિદાન થતાં વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે જવાની સલાહ આપવામાં આવી.
મધ્યમવર્ગીય પરિવાર પર આરોગ્યની આ આફત આવતાં સાહિલના માતા-પિતા ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. પરંતુ આ મુશ્કેલ સમયમાં સરકાર તેમની વહારે આવી. RBSK ટીમ અને સિવિલ હોસ્પિટલના ડોકટરોની ટીમે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી અને ખાતરી આપી કે સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. આ આર્થિક રાહત મળતાં સાહિલના માતા-પિતા તેની સારવાર કરાવવા સંમત થયા.
ત્યારબાદ સાહિલને યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે સંદર્ભ કાર્ડ ભરીને રીફર કરવામાં આવ્યો. હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરોની ટીમે સફળતાપૂર્વક નિદાન અને સર્જરી કરીને સાહિલના હૃદયની ખામી દૂર કરી.
ગત ૨૯ એપ્રિલ ૨૦૨૫ ના રોજ સાહિલની છેલ્લી ફોલોઅપ તપાસ દરમિયાન તે સંપૂર્ણ સ્વસ્થ જોવા મળતાં RBSKની ટીમે કરેલી મહેનતનો આનંદ થયો હતો. હાલ સાહિલ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે.
આ તકે મહેશભાઈ વાઘેલા અને તેમના પરિવારે RBSK ટીમ, સિવિલ હોસ્પિટલ, યુ.એન. મહેતા હોસ્પિટલના ડોકટરો અને સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લાના બાળકો તંદુરસ્ત રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. આર.આર. ફુલમાલીનું માર્ગદર્શન આરોગ્ય ટીમને સતત મળતું રહે છે.