રાજકોટ હિરાસર એરપોર્ટ અંગે કલેકટર પ્રભાવ જોશીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું કે આવતાં સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ હિરાસર એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે જ લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે તેને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી બાજુ એરપોર્ટ પર ફ્લાઈટની ઉડાન અને તેના ઉતરાણ માટેનું લાયસન્સ ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યું ન હોય આગામી બે દિવસની અંદર જ તે ઈશ્યુ થઈ જાય તે માટે આજે ડીજીસીએની બે અધિકારીઓની ટીમ રાજકોટ આવી પહોંચી છે. તેમજ ટીમ દ્વારા એરપોર્ટના રન-વે, ટર્મિનલ, એટીસી સહિતનું ચેકિંગ ઝડપથી આટોપી લેવામાં આવ્યા બાદ બે દિવસની અંદર જ હિરાસર એરપોર્ટને લાયસન્સ ઈશ્યુ થઈ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજી બાજુ આવતીકાલે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ)ના ચેરમેન સંજીવકુમાર પણ રાજકોટ આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હિરાસર એરપોર્ટ લોકાર્પણ માટે લગભગ તૈયાર થઈ ગયું છે પરંતુ ત્યાં પ્લેનનું ઉતરાણ થઈ શકે છે કે કેમ તેની અંતિમ સમીક્ષા કરવી જરૂરી હોવાથી ડીજીસીએની ટીમ દ્વારા બે દિવસની અંદર આ સમીક્ષા પૂર્ણ કરી લેવામાં આવશે. જો તેમાં બધું સમુંસુતરું પાર પડશે તો લાયસન્સ ઈશ્યુ કરી દેવામાં આવશે અન્યથા લોકાર્પણની તારીખ ફરી પાછી ઠેલાય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. આ સાથે ડીજીસીએ ટીમના રાજકોટ આવ્યા બાદ આવતીકાલે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના ચેરમેન પણ રાજકોટ આવશે. તેઓ હિરાસર એરપોર્ટનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે અને ત્યારબાદ લાયસન્સની પ્રક્રિયાને આગળ ધપાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન 27 જૂલાઈએ બપોરે ચાર વાગ્યે કરવામાં આવશે તેવી જાહેરાત અગાઉ કરી દેવામાં આવ્યા બાદ કલેક્ટર સહિતના તંત્ર દ્વારા પણ કાર્યક્રમની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરરોજ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યારે લોકો પણ એરપોર્ટનું લોકાર્પણ ઝડપથી થાય તેવી કામના કરી રહ્યા છે.