રાજકોટ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ૨૭મી જુલાઈએ રાજકોટમાં રૂપિયા ૨૦૩૩ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-૩ના પેકેજ ૮ તથા ૯, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બપોરે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરશે. અહીં તેઓ ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કરશે. વડાપ્રધાનશ્રી આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કરશે. બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભામાં પધારશે. જ્યાં તેમના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ થશે.
રેસકોર્સ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રૂપિયા ૩૯૪ કરોડના ખર્ચે સંપન્ન સૌની યોજનાની લિન્ક ૩ના પેકેજ પેકેજ-૮ અને ૯, તેમજ રાજકોટમાં રૂપિયા ૧૨૯.૫૩ કરોડના ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કરશે.
આ ઉપરાંત રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની ૧૨૧૯ ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-૧માં રૈયાધારમાં રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-૧૮માં કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું પણ તેઓ રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે.
આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જનતાને સંબોધિત કરશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જનતાને સંબોધિત કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રીશ્રી ડૉ. વી.કે.સિંહ પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં નવસારીના સાંસદશ્રી સી.આર. પાટીલ, ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી ભાનુબહેન બાબરિયા, કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, વન પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટના મેયરશ્રી ડૉ. પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, સાંસદો સર્વશ્રી રમેશભાઈ ધડૂક, મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહેશે. જ્યારે ધારાસભ્યો સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, સુશ્રી ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી શામજીભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પિત થનારા વિકાસ પ્રકલ્પોની ઝાંખી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ
• રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-૨૭ નજીક હિરાસર ગામ પાસે રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે થયું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ.
• ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે ચોટીલા પાસે હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ ભૂમિપૂજન થયું હતું.
• રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનો પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ.
• સમગ્ર એરપોર્ટ સંકુલ ૨૫૩૪ એકરમાં ફેલાયેલું છે. આ એરપોર્ટ ૩૦૪૦ મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે. જેના પર એકસાથે ૧૪ વિમાનની પાર્કિંગ ક્ષમતા.
• એરપોર્ટમાં ૨૩ હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવાયું.