રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમી લોકમેળાને લઈને આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગયા વર્ષે રાઈડ્સની મંજૂરી અને સલામતીના મુદ્દે ઉભા થયેલા વિવાદને કારણે મેળો રદ કરવો પડ્યો હતો, જેથી આ વર્ષે તેવી કોઈ મુશ્કેલી ન આવે અને લોકમેળો સુચારુ રીતે યોજાય તે માટે અગાઉથી જ કલેક્ટર કચેરી દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટના તમામ રાઈડ્સ સંચાલકોએ રાજ્ય સરકારના નિર્ધારિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લોકોની સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવાનો આ વખતે મુખ્ય હેતુ છે.