રાજકોટમાં બન્ની ગજેરા અને જિગીષા પટેલ દ્વારા નરેશ પટેલને બદનામ કરવાનો મામલો સામે આવ્યો છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ મામલે નિવેદન આપીને કહ્યું છે કે, ‘ખરેખર આ ખૂબ જ નિંદનીય ઘટના છે. નરેશ પટેલ સમાજ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે તેમને બદનામ કરવાનું આ હીન પ્રયાસ છે.’ બન્ની ગજેરા અને જીગીષા પટેલની ઓડિયો ક્લિપ સામે આવતાં ખોડલધામ સાથે જોડાયેલા અનેક યુવાનોના ફોન આવ્યા છે. પાટીદાર સમાજ સહિત અનેક સમાજના યુવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. નરેશ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમને બદનામ કરવા માટે આવી પ્રવૃત્તિ ન થવી જોઈએ. જીગીષા પટેલે નિવેદન આપ્યું છે કે, આ AI દ્વારા બનાવવામાં આવેલી ઓડિયો ક્લિપ છે. તો આ મામલે જીગીષા પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ. જીગીષા પટેલ પણ આમાં બદનામ થાય છે તો એમને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેના કારણે ખરેખર આ ઓડિયો ક્લિપ કોના દ્વારા અને કયા કારણોસર વાઇરલ કરવામાં આવી છે તે સામે આવી શકે.