રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિસર્જન બાદ નવી બનેલી સમિતિમાં આજે ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના મેયરની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તેમજ મહામંત્રીઓની હાજરીમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે વિક્રમ પુજારા અને વાઇસ ચેરમેન તરીકે પ્રવીણ નિમાવતની જાહેરાત કરવામાં આવી હતી. નવ નિયુક્ત ચેરમેન વિક્રમ પુજારાએ જણાવ્યું હતું કે, હું પ્રદેશ ભાજપ અને રાજકોટ શહેર ભાજપની ટીમનો ઉપરાંત મારા રાજકીય ગુરુ કમલેશ મિરાણીનો આભાર માનું છું. છેવાડાના વિસ્તારમાં રહેતા માનવી અને તેમના બાળકો કે દેશનું આવતું ભવિષ્ય છે, તેમની સેવા કરવાનો મોકો મળ્યો છે. બધાને સાથે રાખી સારામાં સારું કામ કરવાની અમારી પ્રાથમિકતા રહેશે. તેમજ વાઇસ ચેરમેન પ્રવીણ નિમાવતએ જણાવ્યું હતું કે, 35 વર્ષની મારી શિક્ષક તરીકેના કરિયરની અનુભવનો ઉપયોગ અહીંયા કરવામાં આવશે. વિદ્યાર્થીઓ વાલીઓને સાથે રાખી સારામાં સારું કામ કરવામાં આવશે. મને રાષ્ટ્રપતિના હસ્તે શ્રેસ્ટ શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે માટે મારા માટે તો બાળકો જ મુખ્ય છે બાળકોને સારામાં સારું શિક્ષણ મળે સારામાં સારી સુવિધા મળે એ મારી પ્રાથમિકતા છે. તેમજ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવશે તો તેમાં પણ સરકારની ગાઇડલાઇન મુજબ તેનું પાલન કરી સારામાં સારું શિક્ષણ બાળકોને આપવા પ્રયત્ન કરીશું. આમ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભાજપે જાહેર કરેલ 12 સભ્યો તેમજ સરકાર નિયુક્ત 3 મળી કુલ 15 સભ્યોમાં પ્રવીણ નિમાવત, વિક્રમ પુજારા, વિક્રમસિંહ જાડેજા, વિરમ રબારી, ઇશ્વર જીત્યા, હિતેશ રાવલ, રસિક બદ્રકિયા, અજય પરમાર, મનસુખ વેકરિયા, સંગીતા છાયા, જાગૃતિ ભાણવડિયા અને સુરેશ રાઘવાણી વગેરેનો સમાવેશ થાય છે. અહી ઉલ્લેખનીય છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલભાઈ પંડિત, પૂર્વ વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા સહિત 15 સભ્યોના રાજકોટ કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મેયર ડો. પ્રદિપ ડવની હાજરીમાં સભ્યપદ ઉપરથી અધ્ધવચ્ચેથી રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા.