રાજકોટ
ગુજરાત રાજ્યમાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યમાં વૃદ્ધિ કરવાના હેતુથી વર્ષ ૨૦૨૩-‘૨૪માં રાજ્ય સરકાર દ્વારા “અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ” અંતર્ગત “સ્વરોજગાર માળી તાલીમ યોજના” અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રાજકોટ દ્વારા પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત સ્વરોજગારલક્ષી માળી તાલીમ યોજના હેઠળ ત્રિ-દિવસીય માળી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં પ્રથમવાર આયોજિત ત્રિ-દિવસીય માળી તાલીમનો મેયરશ્રી નયનાબેન પેઢડીયાની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે માનવજાતે જીવન પર્યંત શીખતા રહેવું જોઈએ. ગુજરાત સરકાર દ્વારા નિયમિત રીતે ખેડૂતો અને મહિલાઓ સહિત સામાન્ય લોકો માટે ખેતી અને બાગાયતની તાલીમના સત્ર યોજવામાં આવે છે. માળીની પદ્ધતિસર તાલીમ ઘરને વિવિધ છોડોથી સુશોભિત કરવા, ઘરમેળે ખાતર બનાવવા, કીચન કે ટેરેસ ગાર્ડનને સુવ્યવસ્થિત રાખવા તેમજ માળી તરીકે વ્યવસાયિક રીતે કારકિર્દી બનાવવા માટે ઉપયોગી બનશે. ઘરને કૃત્રિમ ફૂલો કે બુકેના બદલે પ્રાકૃતિક રંગબેરંગી ફૂલોથી સજાવવા જોઈએ. તાલીમમાં નાની-નાની સમસ્યાઓનો ઉપાય મળવાથી હવે ઘર સુશોભન અને બગીચામાં માળીકામ કરવા માટે સરળતા રહેશે.
આ ત્રિ-દિવસીય તાલીમમાં નિષ્ણાતો દ્વારા બગીચાનું મહત્વ, આયોજન અને તેના વિવિધ પ્રકાર, જમીનના પ્રકાર, જમીન પૃથ્થકરણ માટે નમૂના લેવાની રીત, બગીચામાં પિયત પદ્ધતિઓ અને સંકલિત ખાતર પોષણ વ્યવસ્થાપન, સંવર્ધન પદ્ધતિઓ, નર્સરી, શાકભાજી પાકોમાં ધરું ઉછેર, રક્ષિત ખેતી, શહેરી ખેતીના પ્રકારો, કિચન ગાર્ડન, હાઇડ્રોપોનિક્સ અને માઇક્રોગ્રીન્સ, બગીચામાં જરૂરી રાસાયણિક ખાતર, વિવિધ સાધનોની ઓળખ, કુંડા ભરવાની પદ્ધતિ, ઘાસનું મહત્વ અને કાળજી, જીવાતની ઓળખ અને તેનું નિયંત્રણ, બોનસાઇ, ફૂલમાળા તેમજ બુકે બનાવવાની રીત જેવા મુદાઓ અંગે થીયરી અને પ્રેક્ટીકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિયાન કરવામાં આવ્યું હતું. સંયુક્ત બાગાયત નિયામકશ્રી આર. એચ. લાડાણીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં બાગાયત અંગે પાયાની સમજ આપીને આ તાલીમ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. નાયબ બાગાયત નિયામકશ્રી રસિકભાઈ બોઘરાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં આ યોજના વિષે તાલીમાર્થીઓને માહિતગાર કરીને વધુમાં વધુ લોકોને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા મદદનીશ બાગાયત નિયામકશ્રી હિરેનભાઈ ભીમાણીએ કાર્યક્રમનું સંચાલન કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમજ લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેકટરશ્રી રમેશભાઈ ભાયાણીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં બાગાયત અધિકારીશ્રી અસિતભાઈ ટાંક અને મહાનગરપાલિકાના ગાર્ડન એન્ડ પાર્કસ વિભાગના રીટાયર્ડ ડાયરેકટરશ્રી ખીમજીભાઈ હાપલિયા તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વરોજગારલક્ષી માળી તાલીમ યોજના
આ યોજનાનો આશય જિલ્લાને હરિયાળું બનાવવા, ઘરઆંગણે આરોગ્યપ્રદ શાકભાજી ઉગાડવા, પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિ ઉપરાંત પદ્ધતિસર રોજગારલક્ષી તાલીમ આપી કૌશલ્યપૂર્ણ યુવાન માળીઓ તૈયાર કરવાનો છે. આ યોજના હેઠળ આઠ મહાનગરપાલિકામાં તાલીમનું આયોજન કરવામાં આવે છે, જેમાં કોઈ પણ જિલ્લાના સ્થાનિક નાગરિકો જોડાઇ શકે છે, જેના માટે નિશ્ચિત સમયમાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે. તાલીમમાં ત્રણેય દિવસ તાલીમાર્થીઓને રૂ. ૨૫૦નું સ્ટાઈપેન્ડ અપાય છે. તેમજ તાલીમાર્થીઓને ગાર્ડનીંગ ટુલ્સની કીટ વિનામૂલ્યે અપાય છે.