રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા હોકર્સ ઝોનમાં વેજ અને નોનવેજના ધંધાર્થીઓને એકસાથે જગ્યા ફાળવવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ મામલે ધંધાર્થી રવિભાઈ કિરીટભાઈ જીવરાજાણીએ જણાવ્યું કે, નોનવેજના ધંધાને કારણે તેમને અનેક અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઝોનમાં અસામાજિક તત્વોનો અડ્ડો જામ્યો છે, જેઓ દારૂડિયાઓને મોકલીને હેરાન-પરેશાન કરે છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપે છે. રવિભાઈએ સ્પષ્ટ કર્યું કે આ હોકર્સ ઝોન ફક્ત વેજ માટે છે, નોનવેજ માટે નહીં. આ સ્થિતિને કારણે વેપારીઓમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.