સાળંગપુર મંદિરે હનુમાનજીને સ્વામીનારાયણ સંપ્રદાયના ભગવાનના દાસ તરીકે દર્શાવતા ભીત ચીત્રોનો વિવાદ વધુને વધુ ભડકી રહ્યો છે ત્યારે રાજકોટમાં આજે રામાનંદી નવનિર્માણ સેનાના હનુમાન ભકત યુવાનો સ્વામીનારાયણ મંદિરે ધસી ગયા હતા અને પોસ્ટરો દર્શાવીને જોરદાર વિરોધ દર્શાવ્યો હતો. તેમજ સાળંગપુરમાં મુકાયેલા ભીત ચીત્રોથી તદ્દન વિરોધાભાષી પોસ્ટરો તૈયાર કરીને દર્શાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં સ્વામીનારાયણ સંપ્રદાયના ભગવાન હનુમાનજીના પગ દબાવીને સેવા ચાકરી કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. એક પોસ્ટરમાં હનુમાનજીના હાથ પંખાથી ગરમી ઉડાડતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. અન્ય એક પોસ્ટરમાં પગચંપી કરાતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આ અંગે રામાનંદી સેનાના યુવાનોએ જણાવ્યું હતું કે હનુમાનજીનું અપમાન સહન ન થતા આ સામો પરચો દેખાડવા માટે આ પ્રકારના પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. સંગઠનના નિખીલ નિમાવત, જીતેન્દ્ર અગ્રાવત, કાનાભાઈ કુબાવત, જયેશ કુબાવત, સંજય અગ્રાવત, અલ્પેશભાઈ, રવિભાઈ વગેરે યુવાનો હાજર રહ્યા હતા.