રાજકોટના લલુડી વોકરી વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનોને આપેલી નોટિસનો મુદ્દો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. આ મામલે મેયર નયનાબેન પેઢડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોના સર્વેની કામગીરી હાલ ચાલુ છે. આ સર્વેમાં અત્યાર સુધીમાં કુલ 623 મકાનોને ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ મકાનોના માલિકોને નોટિસ આપીને તાત્કાલિક સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે. મેયરે ભારપૂર્વક જણાવ્યું છે કે નાગરિકોની સલામતી એ મહાનગરપાલિકાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દર વર્ષે, આવા ભયગ્રસ્ત મકાનોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સમાજની વાડીઓ અને કોર્પોરેશનની શાળાઓમાં રાત્રિ રોકાણ સહિત ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. મેયરે લોકોને સહકાર આપવા અને પોતાની તથા અન્યની સલામતી સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.