શો-રૂમના સ્ટાફે સ્ટોક ચેક કરતાં 252 ગ્રામના સોનાના 10 દાગીના ગાયબ જોવા મળ્યાં, સીસીટીવી ચેક કરતાં શો-રૂમમાં નૈમિશ જાનીએ દાગીના ચોરતો નજરે પડ્યો
♦ પૂછતાછમાં પોતાના પર દેણું થઈ જતાં ચોરી કર્યાની લેખિતમાં કબૂલાત આપી, તાલુકા પોલીસે ગુનો નોંધી દાગીના રિકવર કરવાં કવાયત આદરી
રાજકોટ. તા.10
મવડી મેઈન રોડ પર આવેલ અર્જુન જવેલર્સમાંથી 25.62 લાખના દાગીનાની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. શો-રૂમમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ કર્મીએ જ હાથ ફેરો કર્યાનું સામે આવતાં તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે મોટા મવા સ્મશાન પાસે આંગન ગ્રીન સીટીમાં રહેતાં હીતેષભાઈ ભગવાનજીભાઇ વસોયા (ઉ.વ. 41) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નૈમિશ વિજય જાની (રહે. રાજકોટ) નું નામ આપતાં તાલુકા પોલીસે ચોરીની કલમ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સાતેક વર્ષથી મવડી મેઇન રોડ પર આવેલ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લીમીટેડ નામની સોના ચાંદીના રીટેલ વેપારના શો રૂમમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે શો-રૂમમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ તરીકે નૈમિષ જાની તથા યશભાઈ ઠુંમર જે સ્ટોકની દેખભાળની ફરજ બજાવે છે.
ગઇ તા.22/05/2025 ના અર્જુન જવેલર્સનું સ્ટોકનું કામ સાંભળતા યશભાઈ ઠુંમરએ સ્ટોક ચેક કરતા શો-રૂમની તિજોરીમાં જોતા એક પ્લાસ્ટીકના પાઉચમાં રાખેલ સોનાના દાગીના જેમા સોનાના ચેઇન ત્રણ જેમા એક ચેઇન 82 ગ્રામનો જેમાથી એક ભાગ જે આશરે 13.5 ગ્રામનો ચેઇન મુકેલ પાઉચમાં પડેલ છે.
બીજો ભાગ જે 68.5 ગ્રામનો ચેઇન રૂ.6.97 લાખ, બીજા બે ચેઇન જે 24-24 ગ્રામના કુલ બે ચેઇન 48 ગ્રામના રૂ.4.87 લાખ તેમજ સોનાની વીંટી ત્રણ નંગ રૂ.4.28 લાખ, સોનાની માળા આશરે 17 ગ્રામની રૂ.1.72 લાખ, સોનાની હાથના આંગળામાં પહેરવાની પ્લેન રીંગ નંગ-01 રૂ. 75,500 સોનાનુ પેન્ડલ નં.01 રૂ.1.75 લાખ, સોનાનુ બ્રેસલેટ નં.01, રૂ.5.28 લાખ મળી કુલ 252 ગ્રામના 10 નંગ સોનાના દાગીના રૂ.25,62,500 ના જોવામાં આવેલ નહી.
જેથી તેઓએ શો રૂમની કોર ટીમને વાત કરતા આ પાઉચમાં જોતા સોનાના દાગીના જોવામાં આવેલ નહી, બાદમાં ફરીયાદીએ સ્ટાફને પુછપરછ કરેલ પરંતુ આ ચોરી થયેલ સોનાના દાગીના બાબતે કાઈ જાણવા ન મળતા બાદ તા.06/06/2025 ના શો-રૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તા.15/03/202 5 ના લોકરની બાજુમા કેશ કાઉન્ટર ઉપર મુકેલ પ્લાસ્ટીકના ડબ્બામાના પ્લાસ્ટીકના પાઉચમા રહેલ દાગીના પૈકી અમુક દાગીના ભરેલ.
જે પાઉચ આ શો-રૂમમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ તરીકે નોકરી કરતા નૈમીષ જાનીએ ચોરી જતા જોવામાં આવતા હોય જેથી ગઈ તા.03 ના નૈમિષ જાનીને ચોરીના દાગીના બાબતે પુછતા તેને વાત કરેલ કે, મારે દેવું વધી ગયેલ હોય જેથી સોનાના દાગીના ચોરી કરેલ છે, તેમ વાત કરતા શો-રૂમના માલિક મનિષભાઈ ધાડીયાને બનાવની વાત કરેલ હતી.
બાદમાં માલીક મનિષભાઇએ સ્ટાફની રૂબરૂમાં નૈમિષ જાનીને વાતચીત કરવા શો રૂમે બોલાવી પુછતા તેને આશરે રૂ.25,12,500 ના સોનાના દાગીના ચોરી કરેલ હોવાનુ કબુલ્યું હતું. તેમજ નૈમિષએ દાગીના પરત આપી દેવાનુ જણાવેલ જેથી આ ચોરી અંગે રૂ.25 લાખનું લખાણ કરેલ જેમા તેને સહી કરી આપેલ હતી. જે બાદ તેમના વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
રાજકોટમાં જ અલગ અલગ જવેલર્સમાં દાગીના વેંચી નાંખ્યા, એક વર્ષથી ચોરી કરતો ’તો
મવડી મેઈન રોડ પર આવેલ અર્જુન જવેલર્સમાંથી ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં એરપોર્ટ રોડ પર રહેતો અને શોરૂમમાં કામ કરતો નૈમિશ જાની છેલ્લા બે વર્ષથી શો-રૂમમાં કામ કરે છે અને એક વર્ષથી ચોરી કરતો હતો.
જે બાદ તેને મોટો હાથ મારતાં ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ પોલીસની પૂછતાછમાં તેને અલગ અલગ શહેરના જવેલર્સમાં દાગીના વેંચી નાંખ્યા હતાં. જે અંગે પોલીસે દાગીના રિકવર કરવાં તજવીજ આદરી છે.