રાજકોટ મનપા દ્વારા નવા નાણાકીય વર્ષમાં મિલ્કતવેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. જેને ખુબ સારો પ્રતિસાદ સાપડી રહ્યો છે પરંતુ બે લાખથી વધુ બાકીદારો વર્ષોથી વેરો ભરતા ન હોય તેમની વિરુદ્ધ સિલિંગ અને જપ્તી સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારી કચેરીઓ પાસે કરોડો રૂપિયાનું લેણું હોય સામાન્ય માણસની મિલ્કત સીલ કરવામાં આવે છે તો સરકારી મિલ્કતો વિરુદ્ધ પગલા કેમ ન ભરવા તેમ જણાવી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે પોલીસ વિભાગની તમામ કચેરીનો રૂપિયા ૧૨ કરોડથી વધુનો વેરો ઝડપથી વસુલવા આકરી કાર્યવાહી કરવાની સુચના આપી છે. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, મનપાની મુખ્ય આવક મિલ્કતવેરામાંથી ઉપલબ્ધ થઈ રહી છે. રૂરલ તેમજ શહેર પોલીસ વિભાગ દ્વારા તેમની વિવિધ કચેરીઓનો મિલ્કત વેરો એટલે કે મનપા દ્વારા વસુલવામાં આવતો સર્વિસ ચાર્જ નિયમિત ચુકવવામાં આવતો નથી. નોટીસ આપવામાં આવે ત્યારે આપીદેશું તેવો એક જ જવાબ સાંભળવા મળી રહ્યો છે. પોલીસ વિભાગનો બાર કરોડથી વધુનો મિલ્કત વેરો ચડત થઈ ગયેલ છે. જે વસુલવા માટે વેરાવિભાગને કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. તેમજ આખરી નોટીસ આપી જો મિલ્કતવેરો ભરપાઈ ન થાય તો નિયમ મુજબના પગલે લેવામાં આવશે તેમ જયમીન ઠાકરે જણાવ્યું હતું