રાજકોટ: કોરોનાની લહેર શાંત પડ્યા બાદ ફરી એકવાર રાજકોટમાં કોરોનાના નવા કેસ નોંધાતા શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં કોરોનાના 12 નવા કેસ સપાટી પર આવ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.
રૈયા રોડ પરની સોસાયટીઓમાંથી કેસ: મળતી માહિતી મુજબ, આ નવા કેસો મુખ્યત્વે શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલા છે. આલાપ ગ્રીન સિટી અને ડ્રીમ સિટી સહિતની વિવિધ સોસાયટીઓમાંથી આ નવા કોરોના કેસ સામે આવ્યા છે. આ વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાવચેતી રાખવા અપીલ: કોરોનાના કેસ ફરી વધતા, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, વારંવાર હાથ ધોવા અને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા સૂચના અપાઈ છે. તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા અને તબીબી સલાહ લેવા પણ જણાવાયું છે.
આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે, જેથી સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય.