વાવાઝોડાની અસરને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજય મંત્રી મંડળના મંત્રીઓને અલગ-અલગ જીલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.જેમાં રાજકોટ જીલ્લાની મંત્રી રાઘવજીભાઈ પટેલને જવાબદારી સોંપાતા તેઓએ રાજકોટ ખાતે વહીવટી તંત્ર સાથે બેઠક યોજી જિલ્લાનાં આગોતરા આયોજન અંગેની સમીક્ષા કરી હતી.જેમાં પત્રકારોને માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતુંકે આગામી તા.14 અને 15 મીએ વાવાઝોડાની અસર પડવાની સંભાવના છે. વાવાઝોડા પહેલા અને પછીની પરિસ્થિતિ માટે જીલ્લા વહીવટી તંત્ર સજજ છે. વધુમાં રાજકોટ જીલ્લામાં વાવાઝોડાની અસરને પહોંચી વળવા પીજીવીસીએલ, આરોગ્ય, સ્થળાંતર, પાણી, વાહન વ્યવહાર, ફ્રૂટ પેકેટ વિ.બાબતે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. બચાવ રાહત માટે એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, નેવી, સેનાની જરૂરી મદદ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. જે સાથોસાથ સામાજીક સંસ્થાઓ, ભાજપના હોદેદારો કાર્યકરોનો પણ સહયોગ મળી રહેશે. તેમજ રાજકોટ જીલ્લામાં હાલ અત્યાર સુધીમાં 4031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. અનેહજુ પણ જરૂર જણાયે સ્થળાંતર કરવામાં આવશે.તેમજ રાજકોટ જીલ્લામાં ઉપલેટા,ધોરાજી, જેતપુરમાં વધુ અસર સાથે નુકશાનીની સંભાવના હોવાથી એમડીઆરએફની ટીમપણ ફાળવી છે.આ સાથે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે.તેમજ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મોહનભાઈ કુંડારીયા, યાર્ડનાં ચેરમેન જયેશભાઈ બોઘરા, મેયર ડો.પ્રદિપ ડવ, જિલ્લા પંચાયત.પ્રમુખ ભુપતભાઈ બોદર, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.