દિવાળી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટમાં જ્યાં સૌથી વધુ ફટાકડાની દુકાનો આવેલી છે તે સદર બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટી માટે રેતી-પાણી સહિતની વસ્તુઓ અંગેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમજ આવા તમામ પાસાઓ પર ખરા ઉતરનાર દુકાનદારોનાં લાયસન્સ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, ફાયરનાં ચેકિંગ દરમિયાન હજુસુધી કોઈપણ સ્થળે ગેરરીતિ જોવા નહીં મળી હોવાનું ફાયર વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતુંકે ફટાકડાનાં વેપારીઓ દ્વારા લાયસન્સ માટે અરજી કરાઈ હતી. જેને લઈ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગમાં પ્રથમ પોલીસની મંજૂરી છે કે કેમ? તેની તપાસ કરવામાં આવે છે. આ સિવાય આગ બુઝાવવા માટેના સાધનો જેમ કે, 200 લીટર પાણીનું બેરલ, રેતી તેમજ ફાયરનાં જરૂરી સાધનો છે કે નહીં? તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે. હાલ મારી પાસે આવેલ 8-10 ફાઈલો પૈકી કોઈપણ સ્થળે કોઈ ક્ષતિ જણાઈ ન હોય લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ સાથે જ ફાયરના સાધનો અંગે તપાસ હાથ ધરાઈ આ સાથે જ કોઈપણ દુકાનમાં પ્રતિબંધિત કટાકડા વેચાય છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, સદર બજાર ખૂબ જ ગીચ વિસ્તાર છે અને અહીં ફટાકડાની અનેક દુકાનો આવેલી હોવાથી ફાયર વિભાગ દ્વારા ખાસ હંગામી ફાયર સ્ટેશન પણ ઉભું કરવામાં આવ્યું છે. અહીં ધનતેરસથી લઈને દિવાળીની રાત સુધી ફાયર વિભાગનો કાફલો ખડેપગે રહેશે. જેને લઈને આ વિસ્તારમાં કોઈપણ આગજનીનો બનાવ બને તો તરત જ ફાયર વિભાગની ટીમો પહોંચી આગ બુઝાવી શકે તે માટેની તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.