રાજકોટ શહેરમાં ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મકાન ખાલી કરાવવાની કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના લલુડી વોંકળી વિસ્તારમાં મનપા દ્વારા મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા, અસરગ્રસ્ત પરિવારોમાં આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી છે. મકાન માલિકોએ મહાનગરપાલિકાની આ કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમનો આક્રોશ ઠાલવતા તેમણે જણાવ્યું કે, “માત્ર ચાર દિવસમાં કઈ રીતે મકાન ખાલી કરીને જઈ શકીએ? અમે આટલા ઓછા સમયમાં ક્યાં જઈશું અને ક્યાં આશ્રય લઈશું?” સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “અમે આ જગ્યા છોડીને ક્યાંય નહીં જઈએ.” આ પરિસ્થિતિએ સ્થાનિકો અને મહાનગરપાલિકા વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે.