રાજકોટ, ૧૮ જૂન, ૨૦૨૫: શહેરના હૃદય સમા જાગનાથ વિસ્તારની હાલત હાલ અત્યંત દયનીય બની ગઈ છે. પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવ અને ચાલી રહેલા વિકાસ કાર્યોના બેફામ ખોદકામને કારણે આ વિસ્તારમાં ઠેર ઠેર કિચકાણ, ખાડારાજ અને વરસાદી ગારાનું સામ્રાજ્ય છવાયું છે. ગઈકાલના વરસાદે પરિસ્થિતિ વધુ વિકટ બનાવી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ખાડા રાજ અને ગારાની ગંભીર સમસ્યા
જાગનાથ પ્લોટની અંદરની શેરીઓમાં ડી.આઈ. પાઈપલાઈનના કામ ચાલી રહ્યા છે. આ કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે અને ખોદકામ બાદ રસ્તાઓનું યોગ્ય પેચવર્ક કે ડામરકામ કરવામાં આવ્યું નથી. પરિણામે, શેરીઓમાં ઊંડા ખાડાઓ અને ચરેડા પડી ગયા છે. ગઈકાલે પડેલા વરસાદને કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ ગયું છે અને તે ગારા-કિચડથી લથબથ બન્યા છે.
વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ
આ કિચકાણવાળા ખાડાઓને કારણે ટુ-વ્હીલર ચાલકો, રાહદારીઓ, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. અનેક લોકો લપસી પડ્યા હોવાના અને નાના-મોટા અકસ્માતો થયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. રાત્રિના સમયે કે વરસાદ ચાલુ હોય ત્યારે આ ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય અનેકગણો વધી જાય છે. સ્થાનિક રહીશો તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે “જાગનાથની શેરીઓમાં એક વખત મ્યુનિસિપલ કમિશનર કે મેયર બાઈક લઈને નીકળે તો ખબર પડે કે લોકો કેટલી મુશ્કેલી વેઠી રહ્યા છે.”
તંત્રની નિંભરતા અને ચોમાસાની ચિંતા
મહત્વનું છે કે, ચોમાસા પહેલા તમામ રોડ-રસ્તાના કામો પૂરા કરી દેવાની તંત્ર દ્વારા સૂચનાઓ અપાઈ હોવા છતાં, જાગનાથમાં હજુ પણ સ્થિતિ જેસી તે છે. હવામાન વિભાગે વહેલા ચોમાસાની આગાહી કરી છે ત્યારે તંત્રની આ નિંભરતા આગામી સમયમાં મોટી મુશ્કેલી સર્જી શકે છે. જો વરસાદ વધુ પડશે તો આખા વિસ્તારમાં જળભરાવ અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ શકે છે.
તાત્કાલિક સમારકામની માંગ
શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓએ પણ આ મામલે તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે. “શહેરીજનોના ટાટિયા ભાંગે એ પહેલા તંત્ર એક્શનમાં આવે અને યુદ્ધના ધોરણે ખાડાઓનું સમારકામ કરી, મોરમ-ડામર પાથરી રસ્તાઓને સુવિધાજનક બનાવે,” તેવી અપીલ કરવામાં આવી છે. જાગનાથના રહીશો પણ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ આવે અને તેમને આ ગારા-કિચકાણ અને ખાડારાજમાંથી મુક્તિ મળે તેવી આશા રાખી રહ્યા છે.