રાજકોટના ગવલીવાડ વિસ્તારમાં વોંકળા પર મનપા દ્વારા નવા પુલ બનાવવાની કામગીરી દરમિયાન આજે સવારે મોટી બેદરકારી સામે આવી હતી. ખોદકામ કરતી વખતે જેસીબી વડે ગેસ લાઇન તૂટવાના કારણે એલપીજી ગેસનું મોટા પાયે લીકેજ થયું, જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ગેસના ભયાનક ફુવારા છૂટતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા, ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને GSPCના અધિકારીઓને જાણ કરી હતી.GSPCની ટીમે સત્વરે મેઈન વાલ્વ શોધીને ગેસ સપ્લાય બંધ કર્યો હતો, અને તેમના વર્કરોએ તૂટેલી ગેસની પાઈપલાઈન રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ ગેસલાઈન બપોરના 1.30 વાગ્યા સુધી બંધ રહેવાના કારણે જાગનાથ, ગવલીવાડ અને ભીલવાસ જેવા વિસ્તારોમાં સેંકડો પરિવારોના ઘરોમાં રસોઈ અટકી પડી હતી, જેના કારણે બપોરના જમવાના સમયે ગેસ ન મળતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો.