રાજકોટ મનપા આરોગ્ય વિભાગની નબળી કામગીરી-મચ્છર ઉત્પતિ રોકવા માટેનાં ટાંચા સાધનો અને સ્ટાફની અછતના કારણે સમગ્ર શહેર ચીકનગુનિયા-ડેંગ્યુ-ઝાડા-ઉલ્ટી – તાલ – મેલરીયા સહિતનાં રોગનાં ભરડામાં લોકો આવ્યા હોય કોંગ્રેસ દ્વારા તાકિદે પગલા ભરવા તથા કામગીરીનો વ્યાપ વધારવા મ્યુ. કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે આવેદનમાં જણાવ્યા મુજબ સમગ્ર શહેરને રોગચાળાના ભરડામાંથી મુકત કરવા માટે મ.ન.પા.દ્વારા માત્ર સરકારી દવાખાનાઓ જ નહીં પરંતુ શહેરની ખાનગી હોસ્પિટલો અને ખાનગીલેબોરેટરીઓ પાસેથી પણ રોજે-રોજના દર્દીઓના સારવાર અને ટેસ્ટીંગના આંકડાઓ મંગાવવામાં જેથી કામગીરી વિસ્તાર વાઇઝ સુનિતિ કરી શકાય. તેમજ મ.ન.પા. દ્વારા આરોગ્ય વિભાગમાં મેલેરિયા વર્કરો અને અન્ય સ્ટાફની અછત હોય જે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ વ્યાપક જનહિતના આરોગ્યને ધ્યાને લઇ તાત્કાલીક સ્ટાફ વધારવામાં આવે અને ડોર ટુ ડોર રોગચાળો રોકવા માટેની કામગીરીને સઘન બનાવવામાં આવે.ઉપરાંત હાલમાં શહેરમાં ડેંગ્યુ-ચીકનગુનિયાને અટકાવવા માટે રોજ ત્રણ ઝોનમાં ત્રણ વોર્ડ પ્રમાણે ફોગીંગ મશીન દ્વારા ધુમાડો કરી કામગીરી કરવામાં આવે છેજે પર્યાપ્ત નથી. જેનો વ્યાપ વધારવો જરૂરી છે સાથે શહેરમાં પાણીજન્ય રોગો પણ ખૂબજ વધી રહ્યા છે. ત્યારે દુષિત પાણીની ફરિયાદોનો તાત્કાલીક નિકાલ કરવામાં આવે અને પાણીજન્ય રોગોને કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે.જેમાં ખાસ કરીને શહેરની આજી નદીનાં કાંઠાના વિસ્તારો, શહેરમાંથી પસાર થતા વોકળાઓની આજુબાજુના વિસ્તારો અને સોસાયટીઓમાં મ.ન.પા. દ્વારા રોગચાળો રોકવા બાબતની ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવે અને આરોગ્ય કામગીરીને સઘન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે આ રજુઆતમાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.