રાજકોટ જિલ્લાના ૧૫૩ ગામના ૪.૪૦ લાખથી વધુ લોકોને મળશે નિયમિત ૧૦૦ લીટર પાણી
રાજકોટ તા. ૦૩ જૂન – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનું પ્રત્યેક ઘર હર ઘર નલ યોજનાથી લાભાન્વિત થયું છે. આ સાથે જ “સૌની યોજના”ના પાણી મળતા રાજકોટમાં પાણીની તંગી હવે ભૂતકાળ બની ચૂકી છે ત્યારે રાજકોટ જિલ્લામાં વિવિધ ૨૦ જૂથ યોજનાઓ દ્વારા જોડાયેલ ગામ અને શહેરોને નવી જૂથ યોજના હેઠળ આવરી પ્રતિ વ્યક્તિ દીઠ ૧૦૦ એમએલડી પાણી મળે તે માટે ઝુંબેશરૂપે ઓગ્મેંટેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી.
આગામી તા.૦૬ જૂનના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંદાજે ૯૭.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ભડલી, મચ્છુ-૧, મોવિયા અને પડધરી મળીને ચાર સુધારણા જૂથ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે. આ ચાર જૂથ યોજનાઓ અંતર્ગત વિંછીયા, જસદણ, રાજકોટ, વાંકાનેર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, લોધિકા અને ધ્રોલ તાલુકાના ૧૫૩ ગામ – નગરોને સાંકળી લેવામાં આવ્યા છે. આ યોજનાઓ કાર્યરત થતા ૧૫૩ ગામના કુલ ૪,૪૦,૫૪૪ થી વધુ લોકોને પ્રતિ વ્યક્તિ દીઠ ૧૦૦ લીટર પાણી નિયમિત પહોંચાડવામાં આવશે.
રાજકોટ જિલ્લાના પડધરી, રાજકોટ, ધ્રોલ અને લોધિકા તાલુકાના ૪૬ ગામો-શહેરની ૧,૧૧,૧૧૪ માનવ વસ્તીને ૧૦૦ એલ.પી.સી.ડી. પાણી પહોંચાડવા ૨૧.૭૩ કરોડના ખર્ચે ૩૦.૫૨ કી.મી. ડી.આઇ.કે.-૭ તથા ૪૫.૯૮ કી.મી.ની પીવીસી પાઇપલાઇન, વિવિધ હેડ વર્કસ ખાતે પ થી ૧૦ લાખ લીટર ક્ષમતા સુધીના રો-વોટર સંપ, ૪૦ લાખ લિટર ક્ષમતાની ઇ.એસ.આર, વિવિધ ગ્રામ કક્ષાના સંપ અને પંપીંગ મશીનરી તથા જસદણ અને વિંછીયા તાલુકાના ૨૧ ગામો-શહેરોની ૬૯, ૪૯૯ વસ્તીને ૧૦૦ એલ.પી.સી.ડી. પાણી પહોંચાડવા ૧૭.૮૪ કરોડના ખર્ચે ૨૨.૮૩ કી.મી. ડી.આઇ. તથા ૫૭.૭૧ કી.મી.ની પીવીસી પાઇપલાઇન, ૧ થી પ લાખ લીટર ક્ષમતાના રો-વોટર સંપ, પાંચ લાખ લીટરનો ઈ.એસ.આર, પંપ હાઉસ અને પંપીંગ મશીનરી સહિતની વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મચ્છુ-૧ ગૃપ સુધારણા યોજના હેઠળ રાજકોટ અને વાંકાનેર તાલુકાના ૪૭ ગામોની ૧,૨૬,૪૪૩ માનવ વસ્તીને ૧૦૦ એલ.પી.સી.ડી. પાણી પૂરું પાડવા ૯.૮૬ કી.મી. ડી.આઇ.કે.-૭ અને ૮૮.૧૫૦ કી.મી. પી.વી.સી. પાઈપલાઈન, વિવિધ હેડ વર્કસ ખાતે ૪ થી ૧૩ લાખ લીટર ક્ષમતાના રો-વોટર સંપ, પંપ હાઉસ અને પંપીંગ મશીનરી તેમજ મોવિયા જૂથ સુધારણા હેઠળ ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ૩૯ ગામોની ૧,૩૩,૪૮૮ની વસ્તીને નિયત પાણીનો જથ્થો પહોંચાડવા ૪૯.૪૯ કી.મી. ડી.આઇ. પાઇપલાઇન અને ૭૧.૭૯ કી.મી. પી.વી.સી. પાઇપલાઇન, વિવિધ હેડ વર્કસ ખાતે ૧ થી ૩૦ લાખ લી. ક્ષમતાનો રો-વોટર સંપ, ૧૫ લાખ લિટર ક્ષમતાની ઈ.એસ.આર., ગ્રામીણ સ્તરે વિવિધ સંપ, પંપ હાઉસ તથા પંપીંગ મશીનરીની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
તમામ ગ્રામીણ વિસ્તારોમાં હાલના તબક્કે પાણીની જરૂરિયાતો વધી રહી છે તે મુજબ ભડલી જૂથ યોજના હેઠળ દૈનિક ૬.૯૫ એમ.એલ.ડી., મોવિયા જૂથ યોજના હેઠળ દૈનિક ૧૩.૫૦ એમ.એલ.ડી., પડધરી યોજના હેઠળ દૈનિક ૧૧.૧૦ એમ.એલ.ડી અને મચ્છુ-૧ યોજના હેઠળ દૈનિક ૧૨.૬૪ એમ.એલ.ડી પાણીની જરૂરિયાતોને સંતોષવામાં આવશે. આમ, મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પિત થનાર પાણી પુરવઠા વિભાગ અંતર્ગતના આ પ્રકલ્પો થકી લાખો લોકોને પીવા અને ઘર વપરાશ માટે પાણીનો મહત્તમ અને પૂરતો જથ્થો ઝડપી પહોંચાડી શકાશે.