સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ અગાઉ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને, નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા અને જિલ્લાનાં ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, સભાખંડ ખાતે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે “મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન સંદર્ભે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમગ્ર કાર્યક્રમનાં આયોજન અંગેની રૂપરેખા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. અભિયાન અંતર્ગત જિલ્લાનાં વિવિધ ગામો-શહેરોમાં યોજાનાર કાર્યક્રમોનાં આયોજન વિશે મંત્રીશ્રીએ વિગતવાર માહિતી મેળવતા દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપતા આ અભિયાનને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન-સૂચના આપ્યા હતા. માટી દેશનાં નાગરિકોને એકબીજા સાથે જોડે છે અને આ અભિયાન દેશભક્તિની ભાવનાને બળવત્તર બનાવશે ત્યારે વધુને વધુ નાગરિકો રાષ્ટ્રભક્તિનાં આ અભિયાન વિશે જાણે અને તેમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે પ્રયાસો કરવા જણાવતા તેમણે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. “આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનની ઉજવણી સંદર્ભે આજે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }