32.3 C
Ahmedabad
Thursday, June 5, 2025
spot_imgspot_imgspot_img

મગફળીમાં સફેદ ઘૈણના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી સમયે લેવામાં આવતા પગલાંઓ અંગે સૂચના


રાજકોટ તા. ૦૩ જૂન – ખેડૂતોએ મગફળીના પાકમાં વાવણી પહેલા અને વાવણી સમયે જરૂરી પગલા લેવા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં આવે છે. ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલા કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલા પુખ્ત કીટકો(ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થાય. સાંજના સમયે ખેતરના શેઢાપાળા પરના ઝાડને હલાવી તેના પર બેઠેલા કાલિયાને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો. ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો. મુંડાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસિયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ વેટેબલ પાવડર (ન્યુનતમ ૨×૧૦૬ સીએફપુ/ગ્રામ) વાવેતર પહેલા એરંડીના ખોળ (૩૦૦ કિ.ગ્રા/હે) સાથે જમીનમાં આપવાની રહેશે.

પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું. ખેતરમાં પાક અવશેષોનું મલ્ચીંગ કરવું.

મગફળી સાથે કપાસ, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવા. જેમ કે, મગફળીની વેલડી જાતનું ૯૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે સૂર્યમુખીની એક હાર કરવી અથવા આડી મગફળીના ઉભા પાકમાં છેલ્લી આંતરખેડ પછી તુવેરની મધ્યમ મોડી પાકતી જાત બીડીએન-૨ મગફળીની બે હાર વચ્ચે વાવવી. મુંડાના અસરકારક નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં દીવેલીનો ખોળ ૫૦૦ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું. પાક વાવતી વખતે ચાસમાં કલોરપાયરીફોસ ૧૦જી હેકટરે ૧૦થી ૧૫ કિ.ગ્રા. પ્રમાણે આપવું. જરૂરીયાત ધ્યાને લઈ સફેદ ઘૈણ/ મૂંડાના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. ૨૫ મી.લી. અથવા ફીપ્રોનીલ ૪૦% + ઈમીડાકલોપીડ ૪૦% ડબલ્યુજી ૧થી ૫ ગ્રામ અથવા કલોથીયાનીડીન ૫૦% ડબલ્યુટીજી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ દીઠ બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો જોઈએ.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી માટે સંબંધિત વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવો. તેમ રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -