રાજકોટ મહાનગરપાલિકાના કર્મીઓની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાહુમાળી ભવન પાસે રસ્તા ખોદીને અધૂરું કામ છોડી દેવાતાં એક બાઇકચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. આ ઘટનાએ RMC ના કામ પ્રત્યેની નિંભરતા અને સામાન્ય નાગરિકોની સુરક્ષા પ્રત્યેની બેદરકારીને ફરી એકવાર ઉજાગર કરી છે. બાહુમાળી ભવન નજીક rmc ના ખુલ્લા અને અધૂરા ખોદકામને કારણે રાત્રિના સમયે પસાર થઈ રહેલા એક બાઇકચાલકે અચાનક ખાડો આવી જતાં પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ઈજાઓ પહોંચી હતી. સદનસીબે, તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત નાગરિકે તુરંત જ ઈજાગ્રસ્ત વ્યક્તિની મદદ કરી હતી અને નાગરિક દ્વારા ખાડો પૂરવામાં આવ્યો હતો. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, RMC ના કર્મીઓ રસ્તા ખોદકામ બાદ તેને યોગ્ય રીતે પૂરવાની કે સુરક્ષાના પૂરતા પગલાં લેવાની તસ્દી પણ લેતા નથી.