તાજેતરમાં GMERS દ્વારા જનરલ ક્વોટામાં 66 ટકા અને મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ માટે 88 ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને વાલીઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર મામલે મીડિયાના માધ્યમથી તેમજ સાંસદો અને ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા હવે વાલીઓ દ્વારા કાયકાદીય લડત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. જે અંતર્ગત ગુજરાતભરના તમામ વાલીઓને એકઠા કરીને વાલીઓ અમદાવાદ જશે અને ત્યાં સારા વકીલની સલાહ લઈ હાઈકોર્ટમાં કાયદાકીય લડત આપવામાં આવશે. આ અંગે ડો. બિમલ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મેડિકલના ફોર્મ ભરવાનું શરૂ કરાયું ત્યારે અંદાજે 21 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ બધાને અસર કરતો એક નિર્ણય સાવ અચાનક જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા GMERS જનરલ ક્વોટાની ફીમાં સીધો 66 ટકાનો વધારો કરી 3.30 લાખ ફીને 5.50 લાખ કરવામાં આવી હતી અને તેમાં એલોટ થયેલી 85 ટકા સીટને 75 ટકા કરી દેવામાં આવી છે. આ 10 ટકા મેનેજમેન્ટ ક્વોટામાં ઉમેરી દીધા હતા. એટલું જ નહીં મેનેજમેન્ટ ક્વોટાની 9.05 લાખ ફીને 17 લાખ કરવામાં આવતા વિદ્યાર્થીઓ-વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અન્ય સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનાં મેનેજમેન્ટ ક્વોટાની ફી પણ 14થી 15 લાખ રૂપિયા છે. ત્યારે તેના કરતાં પણ સરકારી કોલેજમાં વધુ ફી વસુલવાનો નિર્ણય લેવાયો છે. હાલ અન્ય તમામ સ્થળે ફોર્મ ભરાઈ ચૂક્યા હોવાથી કોઇને અન્ય જગ્યાએ સીટ મળી શકે તેમ નથી. ત્યારે આ ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેને લઇને અનેક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી ગયા છે. વાલીઓ પણ એ ચિંતામાં છે કે, બાળકોને સાચવવા કે ફી વધારા અંગે લડત આપવી? આ સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો સહિત સ્થાનિક નેતાઓને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સહિતનાઓ સમક્ષ વાલીઓએ આ મામલે રજૂઆત કરી હતી. બધાએ કંઈક કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ હજુ સુધી કોઈ પોઝિટીવ જવાબ આવ્યો નથી. GMERSએ આ વર્ષે જૂની ફી યથાવત રાખી અને આવતા વર્ષની જાહેરાત અત્યારે કરવી જોઇએ. સરકારમાં રજૂઆત કરતા સ્કોલરશીપ અપાતી હોવાનું જણાવાઈ રહ્યું છે. પણ સ્કોલરશીપ બધા વિદ્યાર્થીઓને મળતી નથી. જેને લઇને હવે આ મામલે નામદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. અહી ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કરાયેલા આ ફી વધારાને લઇ અગાઉ વાલીઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. પરંતુ કોઈપણ સ્થળેથી સંતોષકારક જવાબ નહીં મળથા હવે વાલીઓ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે કોર્ટમાં આ અરજી એંગેની સુનાવણી ક્યારે થશે અને આ મામલે કોર્ટ શું ચુકાદો આપશે તે આવનારો સમય જ બતાવશે.